ترجمة سورة البقرة

الترجمة الغوجراتية

ترجمة معاني سورة البقرة باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية.
من تأليف: رابيلا العُمري .

અલિફ-લામ્-મીમ્,
આ પુસ્તક (અલ્લાહનુ પુસ્તક હોવા) માં કોઇ શંકા નથી. ડરવાવાળાઓને માર્ગદર્શન આપનારૂં છે.
જે લોકો અદ્રશ્ય ઉપર ઇમાન ધરાવે છે અને નમાઝ ની પાબંદી કરે છે અને અમારા આપેલા (ધન) માંથી ખર્ચ કરે છે,
અને જે લોકો ઇમાન ધરાવે છે તેના પર જે તમારા તરફ અવતરિત કરવામાં આવ્યું અને જે તમારા પહેલા અવતરિત કરવામાં આવ્યું અને તેઓ આખેરત (પરલોક) ઉપર પણ ઇમાન ધરાવે છે
આ જ લોકો પોતાના પાલનહાર તરફથી સત્ય માર્ગ પર છે અને આ જ લોકો સફળ થનાર છે.
ઇન્કારીઓને તમારૂ સચેત કરવું અથવા ન કરવું બન્ને સરખું છે, આ લોકો ઇમાન નહી લાવે.
અલ્લાહએ તેઓના હૃદયો પર અને તેઓના કાન પર મહોર લગાવી દીધી છે અને તેઓની આંખો પર પર્દો છે અને તેઓ માટે મોટી યાતના છે.
કેટલાક લોકો કહે છે કે અમે અલ્લાહ ઉપર અને કયામતના દિવસ ઉપર ઇમાન ધરાવીએ છીએ, પરંતુ ખરેખર તે લોકો ઇમાન ધરાવનાર નથી.
તેઓ અલ્લાહ તઆલા અને ઇમાનવાળાઓને ધોકો આપે છે, પરંતુ ખરેખર તેઓ પોતાને જ ધોકો આપી રહ્યા છે, પરંતુ સમજતા નથી.
તેઓના હૃદયોમાં બિમારી હતી, અલ્લાહ તઆલાએ તેઓની બિમારીમાં વધારો કરી દીધો અને તેઓના જૂઠના કારણે તેઓ માટે દુંખદાયી યાતના છે.
અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે ધરતી પર ભ્રષ્ટતા ન ફેલાવો તો જવાબ આપે છે કે અમે તો ફકત સુધારો કરનાર છે.
૧૨) સાવધાન રહો ! નિંશંક આ જ લોકો ભ્રષ્ટતા ફેલાવનારા છે, પરંતુ સમજ નથી રાખતા.
અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે બીજા લોકો (પયગંબર સાહેબના સાથીઓ) માફક તમે પણ ઇમાન ધરાવો, તો જવાબ આપે છે કે શું અમે એવું ઇમાન ધરાવીએ જેવું કે આ મુર્ખ ઇમાન ધરાવે છે, સાવધાન રહો ! ખરેખર આ જ લોકો મુર્ખ છે, પરંતુ અજાણ છે.
૧૪) અને જ્યારે તેઓ ઇમાનવાળાઓને મળે છે તો કહે છે કે અમે પણ ઇમાનવાળા છે, અને જ્યારે પોતાના શૈતાનો (સરદાર) ને મળે છે તો કહે છે કે અમે તો તમારી સાથે છે, અમે તો તેઓની સાથે ફકત મશ્કરી કરીએ છીએ.
અલ્લાહ તઆલા પણ તેઓની સાથે મશ્કરી કરી રહ્યો છે અને તેમની વિદ્રોહીમાં વધારો કરે છે.
આ તે લોકો છે જેઓએ પથભ્રષ્ટતાને સત્યમાર્ગના બદલામાં ખરીદી લીધું, બસ ! ન તો તેઓના વેપારે તેમને ફાયદો પહોંચાડયો અને ન તો આ સત્યમાર્ગ અપનાવનારા બન્યા.
તેઓનું ઉદાહરણ તે વ્યક્તિની માફક છે જેણે આગ સળગાવી, બસ ! આજુ બાજુની વસ્તુઓ પ્રકાશિત થઇ જ હતી કે અલ્લાહ તેઓના પ્રકાશને લઇ લીધો અને તેઓને અંધકારમાં છોડી મુક્યા તેઓ જોતા નથી.
તેઓ બહેરા, મુંગા અને આંધળા છે, બસ ! તેઓ પાછા ફરતા નથી.
અથવા આકાશ માંથી વરસાદની માફક જેમાં અંધારુ, મેઘગર્જના અને વિજળી હોય, મૃત્યુથી ભયભીત થઇ વાદળોના ગર્જવાના કારણે પોતાની આંગળીઓ પોતાના કાનોમાં નાખી દે છે. અને અલ્લાહ તઆલા ઇન્કારીઓને ઘેરામાં લેવાવાળો છે.
નજીક છે કે વિજળી તેઓની આંખોને ઝુંટવી લેં, જ્યારે તેઓ માટે પ્રકાશ થાય છે તો તેમાં હરે ફરે છે અને જ્યારે તેઓ પર અંધારુ કરે છે તો ઉભા રહી જાય છે. અને જો અલ્લાહ તઆલા ઇચ્છે તો તેઓના કાનો અને આંખોને વ્યર્થ કરી દેં. નિંશંક અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.
હે લોકો ! પોતાના તે પાલનહારની બંદગી કરો જેણે તમને અને તમારા પહેલાના લોકોનું સર્જન કર્યુ, આ જ તમારા બચાવનું કારણ છે.
જેણે તમારા માટે ધરતીને પાથરણું અને આકાશને છત બનાવ્યું અને આકાશમાંથી પાણી વરસાવી તેનાથી ફળ પૈદા કરી તમને રોજી આપી, ખબરદાર ! જાણ્યા છતાંય અલ્લાહની સાથે બીજાને ભાગીદાર ન ઠેરવો.
અમે જે કંઇ પણ પોતાના બંદા પર અવતરિત કર્યુ છે તેમાં જો તમને શંકા હોય અને તમે સાચા હોય તો આના જેવી એક સૂરહ (પાઠ) તો બનાવી લાવો, તમને અધિકાર છે કે અલ્લાહ તઆલા સિવાય પોતાના મદદ કરવાવાળાઓને પણ બોલાવી લો.
બસ ! જો તમે ન કર્યુ અને તમે કદાપિ નથી કરી શકતા, તો (આને સત્યમાની) તે આગથી બચો, જેનું ઇંધણ માનવી અને પત્થર છે, જે ઇન્કારીઓ માટે તૈયાર કરવામાં આવી છે.
ઇમાનવાળાઓ અને સદકાર્યો કરવાવાળાઓને તે જન્નતોની શુભસૂચના આપી દો જેની નીચે નહેરો વહી રહી છે, જ્યારે પણ તેઓને ફળો આપવામાં આવશે (અને ફરી તેના જેવું જ ફળ લાવવામાં આવશે) તો કહેશે કે આ તો તે જ છે જે અમને આનાથી પહેલા આપવામાં આવ્યું હતું અને તેઓ માટે પવિત્ર પત્નિઓ છે અને તેઓ તે જન્નતોમાં હંમેશા રહેવાવાળા છે.
નિંશંક અલ્લાહ તઆલા કોઇ ઉદાહરણ આપવાથી શરમાતો નથી, ભલે ને મચ્છરનું હોય અથવા તેનાથી પણ હલકી વસ્તુનું. ઇમાનવાળાઓ તો તેને પોતાના પાલનહાર તરફથી યોગ્ય ગણે છે અને ઇન્કારીઓ કહે છે કે આ ઉદાહરણનો અર્થ શું છે ? આના વડે કેટલાકોને પથભ્રષ્ટ કરી દે છે અને વધું પડતા લોકોને સત્યમાર્ગ પર લાવી દે છે અને પથભ્રષ્ટ તો ફકત વિદ્રોહીઓને જ કરે છે.
જે લોકો અલ્લાહ તઆલાના મજબુત વચનને તોડે છે અને અલ્લાહ તઆલાએ જે વસ્તુને જોડવાનો આદેશ આપ્યો છે તેને કાપે અને ધરતી પર ભ્રષ્ટાચાર ફેલાવે છે આ જ લોકો નુકસાન ઉઠાવનારા છે.
તમે અલ્લાહ ના ભાગીદાર કેવી રીતે ઠેરવો છો ? જ્યારે કે તમે મૃત હતા, તેણે તમને જીવિત કર્યા, પછી તમને મૃત્યુ આપશે પછી જીવિત કરશે, પછી તમે તેની જ તરફ પાછા ફેરવવામાં આવશો.
તે અલ્લાહ જેણે તમારા માટે ધરતીની દરેક વસ્તુનું સર્જન કર્યુ, પછી આકાશ તરફ ફર્યો અને તેને ઠીક-ઠાક સાત આકાશ બનાવ્યા, અને તે દરેક વસ્તુને જાણે છે.
અને જ્યારે તારા પાલનહારે ફરિશ્તાઓને કહ્યું કે હું ધરતી પર જાનશીન (નાયબ) બનાવવાનો છું, તો તેઓએ કહ્યું આવા વ્યક્તિને કેમ પૈદા કરી રહ્યા છો, જે ધરતી ઉપર ભ્રષ્ટાચાર ફેલાવે અને ખુનામરકીઓ આચરે ? અને અમે તારા નામનું સ્મરણ, પ્રશંસા અને પવિત્રતાનું વર્ણન કરનારા છે. અલ્લાહ તઆલાએ ફરમાવ્યું જે હું જાણું છું તે તમે નથી જાણતા.
અને અલ્લાહ તઆલાએ આદમને દરેક નામો શીખવાડી તે વસ્તુઓને ફરિશ્તાઓ સમક્ષ રજુ કરી અને ફરમાવ્યું જો તમે સાચા છો તો આ વસ્તુઓના નામ જણાવો.
તે સૌએ કહ્યું હે અલ્લાહ ! તારી ઝાત પવિત્ર છે, અમે તો ફકત એટલું જ જાણીએ છીએ જેટલું તે અમને શીખવાડી રાખ્યું છે, પુરૂ જ્ઞાનધરાવનાર અને હિકમતવાળો તો તું જ છે.
અલ્લાહ તઆલાએ આદમ (અ.સ.) ને ફરમાવ્યું તમે આના નામ જણાવી દો, જ્યારે તેમણે જણાવી દીધા તો ફરમાવ્યું કે શું મેં તમને (પહેલા જ) નહતું કહ્યું કે ધરતી અને આકાશોનો ગૈબ (અદ્રશ્ય) હું જ જાણું છું અને હું જાણું છું જે તમે જાહેર કરો છો, અને જે કંઇ તમે છુપાવતા હતા.
અને જ્યારે અમે ફરિશ્તાઓને કહ્યું કે આદમ ને સિજદો કરો, તો ઇબ્લિસ (શૈતાન) સિવાય સૌએ સિજદો કર્યો, તેણે ઇન્કાર કર્યો અને ઘમંડ કર્યુ અને તે ઇન્કારીઓમાં થઇ ગયો.
અને અમે કહી દીધુ કે હે આદમ ! તમે અને તમારી પત્નિ જન્નતમાં રહો, અને જ્યાંથી ઇચ્છો છુટથી ખાઓ પીવો, પરંતુ તે વૃક્ષની નજીક પણ ન જશો, નહીંતો અત્યાચારી બની જશો.
પરંતુ શૈતાને તેઓને ફુસલાવી ત્યાંથી કઢાવીને જ રહ્યો, અને અમે કહીં દીધું કે ઉતરી જાઓ ! તમે એક બીજાના શત્રુ છો અને એક નક્કી કરેલ સમય સુધી તમારા માટે ધરતી ઉપર રોકાણ અને ફાયદો ઉઠાવવાનો સામાન છે.
આદમ (અ.સ.) એ પોતાના પાલનહાર પાસેથી કેટલીક વાતો શીખી અને અલ્લાહ તઆલાએ તેઓની તૌબા કબુલ કરી, નિંશંક તે જ તૌબા કબુલ કરનાર અને દયા કરનાર છે.
અમે કહ્યું તમે સૌ અહીંયાથી જતા રહો, જ્યારે પણ તમારી પાસે મારૂ માર્ગદર્શન પહોંચે તો તેનું અનુસરણ કરવાવાળા માટે કોઇ ડર અને નિરાશા નહીં હોય.
અને જે ઇન્કાર કરી અમારી આયતો ને જુઠલાવે તે જહન્નમીઓ છે અને હંમેશા તેમાં જ રહેશે.
હે ઇસ્રાઇલના સંતાનો ! મારી તે કૃપાને યાદ કરો જે મેં તમારા પર કરી અને મારા વચનને પુરૂ કરો, હું તમારા વચનને પુરા કરીશ અને મારાથી જ ડરો.
અને તે કિતાબ પર ઇમાન લાવો જે મેં તમારી કિતાબોની પુષ્ટી માટે અવતરિત કરી છે અને તેની બાબતે તમે જ પ્રથમ ઇન્કારી ન બનો અને મારી આયતોને તુચ્છ કિંમતે વેચી ન મારો. અને ફકત મારાથી જ ડરો.
અને સત્યને અસત્ય સાથે ભેળસેળ ન કરો અને ન સત્યને છુપાવો, તમે તો ખુબ જ સારી રીતે જાણો છો.
અને નમાઝોની પાબંદી કરતા રહો અને ઝકાત (ધર્મદાન) આપતા રહો, અને રૂકુઅ કરવાવાળા સાથે રૂકુઅ કરો.
શું લોકોને ભલાઇ ની શિખામણ આપો છો ? અને પોતે જ પોતાને ભુલી જાઓ છો, કિતાબ પઢવા છતાંય, શું તમારામાં આટલી પણ બુધ્ધી નથી ?
ધૈર્ય અને નમાઝ સાથે મદદ માંગતા રહો, આ વસ્તુ ભારે પરિશ્રમવાળી છે, પરંતુ ડરવાવાળા માટે (સરળ છે).
જે જાણે છે કે નિંશંક તે પોતાના પાલનહારથી મુલાકાત કરનાર અને તેની જ તરફ પાછા ફરવાના છે.
હે ઇસ્રાઇલના સંતાનો ! મારી તે કૃપાને યાદ કરો જે મેં તમારા પર કરી અને મેં તમને સમગ્ર સૃષ્ટિના લોકો પર શ્રેષ્ઠતા આપી.
તે દિવસથી ડરતા રહો જ્યારે કોઇ કોઇને ફાયદો નહીં પહોંચાડી શકે અને ન તો તેની બાબત કોઇ ભલામણ સ્વીકારવામાં આવશે અને ન કોઇ બદલો તેના બદલામાં લેવામાં આવશે અને ન તો તેમની મદદ કરવામાં આવશે.
અને જ્યારે અમે તમને ફિરઔનના લોકોથી છુટકારો આપ્યો જે તમને દુંખદાયક યાતના આપતા હતા, જે તમારા બાળકોને મારી નાખતા અને તમારી બાળકીઓને છોડી દેતા હતા, તે છુટકારો અપાવવામાં તમારા પાલનહારની મોટી કૃપા હતી.
અને જ્યારે અમે તમારા માટે દરિયો ચીરી નાખ્યો અને તમને તેનાથી પાર કરી દીધા અને ફિરઔનના લોકોને તમારી નજર હેઠળ જ તેમાં ડુબાડી દીધા.
અને અમે મૂસા (અ.સ.) સાથે ચાલીસ રાત્રીઓનું વચન કર્યુ, ત્યાર પછી તમે વાછરડાને પૂજવા લાગ્યા અને અત્યાચારી બની ગયા.
પરંતુ અમે તેમ છતાં તમને માફ કરી દીધા જેથી તમે આભારી બનો.
અને અમે મૂસા (અ.સ.) ને તમારા માર્ગદર્શન માટે કિતાબ અને મુઅજિઝહ (ચમત્કાર) અર્પણ કર્યા,
જ્યારે મૂસા (અ.સ.) એ પોતાની કૌમને કહ્યું હે મારી કૌમ ! વાછરડાને પૂજ્ય બનાવી તમે પોતાના જીવો પર અત્યાચાર કર્યો છે, હવે તમે પોતાના સર્જનહાર તરફ પાછા ફરો, પોતાને અંદર અંદર કત્લ કરો, અલ્લાહની નજીક આ માંજ તમારી ઉત્તમતા છે, તો તેણે (અલ્લાહ) તમારી તૌબા કબુલ કરી, તે તૌબા કબુલ કરનાર અને દયા કરનાર છે.
અને (તમે તેને પણ યાદ કરો) તમે મૂસા (અ.સ.) ને કહ્યું હતું કે જ્યાં સુધી અમે અમારા પાલનહારને સામે ન જોઇ લઇએ, કદાપિ ઇમાન લાવીએ (જેની સઝા રૂપે) તમારા જોતા જ તમારા પર વિજળી પડી.
પરંતુ ફરી એટલા માટે કે તમે આભારી બનો તે મૃત્યુ પછી પણ અમે તમને જીવિત કરી દીધા.
અને અમે તમારા પર વાદળ નો છાયો કર્યો અને તમારા પર મન- સલવા (જન્નતી ભોજન) ઉતાર્યું, (અને કહી દીધું) કે અમારી આપેલી પવિત્ર વસ્તુઓ ખાઓ અને તેઓએ અમારા ઉપર અત્યાચાર નથી કર્યો, પરંતુ તે પોતે જ પોતાના ઉપર અત્યાચાર કરી રહ્યા હતા.
અને અમે તમને કહ્યું કે તે વસ્તીમાં જાઓ અને જે કંઇ જ્યાંથી ઇચ્છો છુટથી ખાઓ પીવો અને દરવાજા માં સિજદો કરતા પસાર થાઓ અને જબાન થી હિત્તતુન્ (અમારા પાપોને માફ કરી દેં) કહો, અમે તમારા પાપોને માફ કરી દઇશું અને સદકાર્ય કરવાવાળાને વધુ આપીશું.
પછી તે અત્યાચારીઓએ તે વાતને જે તેમને કહેવામાં આવી હતી બદલી નાખી, અમે પણ તે અત્યાચારીઓ પર તેઓના દુષ્કર્મો અને અવજ્ઞા ના કારણે આકાશી યાતના ઉતારી.
અને જ્યારે મૂસા (અ.સ.) એ પોતાની કૌમ માટે પાણી માંગ્યુ તો અમે કહ્યું કે પોતાની લાકડીને પત્થર પર મારો જેનાથી બાર ઝરણા ફુટી નીકળ્યા અને પ્રત્યેક જૂથે પોતાનું ઝરણું ઓળખી લીધું (અને અમે કહી દીધું કે) અલ્લાહ તઆલાની રોજી ખાવો પીવો, અને ધરતી પર ભ્રષ્ટાચાર ન ફેલાવો.
અને જ્યારે તમે કહ્યું કે હે મૂસા ! અમે એક જ પ્રકારના ભોજન પર કદાપિ ધીરજ નહીં રાખી શકીએ, એટલા માટે પોતાના પાલનહારથી દુઆ કરો કે તે અમને ધરતી ની પેદાવાર સૂરણ, કાંકડી, ઘંઉ, મસૂર અને ડુંગળી આપે, તેમણે કહ્યું ઉત્તમ વસ્તુના બદલામાં સાધારણ વસ્તુ કેમ માંગો છો, એવા ! શહેરમાં જાઓ ત્યાં તમારી મનચાહી વસ્તુઓ મળી જશે, તેઓ પર અપમાન અને લાચારી નાખી દેવામાં આવી અને અલ્લાહનો ક્રોધ લઇ તેઓ પાછા ફર્યા, આ એટલા માટે કે તેઓ અલ્લાહ તઆલાની આયતોનો ઇન્કાર કરતા હતા અને પયગંબરોને અન્યાયી રીતે કત્લ કરતા હતા, આ તેઓની અવજ્ઞાકારી અને અતિરેકનું પરિણામ છે.
મુસલમાન હોય, યહુદી હોય, ઇસાઇ હોય અથવા સાબી હોય, જે કોઇ પણ અલ્લાહ પર અને કયામતના દિવસ પર ઇમાન લાવ્યા અને સદકાર્યો કર્યા તેઓનો બદલો તેઓના પાલનહાર પાસે છે અને તેઓ પર ના કોઇ ભય છે અને ન નિરાશા.
અને જ્યારે અમે તમારાથી વચન લીધું અને તમારા પર તૂર (નામી) પહાડ લાવી ઉભો કરી દીધો (અને કહ્યું) જે અમે તમને આપ્યું છે તેને મજબુતીથી પકડી રાખો અને જે કંઇ તેમાં છે તેને યાદ કરો, જેથી તમે બચી શકો.
પરંતુ તમે ત્યાર પછી પણ ફરી ગયા, પછી જો અલ્લાહતઆલાની કૃપા અને તેની દયા તમારા પર ન હોત તો તમે નુકસાન ઉઠાવનાર થઇ જાત.
અને નિંશંક તમને તે લોકોનું જ્ઞાન પણ છે જે તમારાથી શનિવાર વિશે હદથી વધી ગયા અને અમે પણ કહી દીધું કે તમે અપમાનિત વાંદરાઓ બની જાવ.
તેઓને અમે આગળ-પાછળના લોકો માટે બોધદાયક બનાવ્યા અને ડરવાવાળાઓ માટે શિખામણ.
અને મૂસા (અ.સ.) એ જ્યારે પોતાની કૌમને કહ્યું કે અલ્લાહ તઆલા તમને એક ગાય કુરબાન કરવાનો આદેશ આપે છે તો તેઓએ કહ્યું અમારી સાથે મજાક કેમ કરી રહ્યા છો ? તેમણે જવાબ આપ્યો કે હું આવો અજ્ઞાની થવાથી અલ્લાહ ના શરણમાં આવું છું.
તેઓએ કહ્યું કે હે મૂસા ! દુઆ કરો કે અલ્લાહ તઆલા અમારા માટે તેના લક્ષણો સ્પષ્ટ કરી દે, તેમણે કહ્યું સાંભળો ! તે ગાય ન તો ઘરડી હોય ન વાછરડું, પરંતુ બન્નેથી વચ્ચેની વયની હોય, હવે જે આદેશ તમને આપવામાં આવ્યો છે તે કરી બતાવો,
તે લોકો ફરી કહેવા લાગ્યા કે દુઆ કરો કે અલ્લાહ તઆલા વર્ણન કરે કે તેનો રંગ કેવો હોય ? ફરમાવ્યું કે તે (અલ્લાહ) કહે છે કે તે ગાય પીળા રંગની, ચમકદાર જોવાવાળાઓ માટે લોભાવનારી છે.
તે કહેવા લાગ્યા કે પોતાના પાલનહારથી વધુ દુઆ કરો અમને તેના વધુ લક્ષણો બતાવે આ પ્રકારની ગાયો તો ખુબ જ છે, ખબર નથી પડતી જો અલ્લાહ ઇચ્છશે તો અમે માર્ગદર્શન વાળા થઇ જઇશું.
તેમણે (મૂસા અ.સ.) ફરમાવ્યું કે અલ્લાહ નો આદેશ છે કે તે ગાય કામ કરવાવાળી , હળ ચલાવવાવાળી અને ખેતરોને પાણી પીવડાવનારી નહી, તે તંદુરસ્ત અને ખોડ વગરની છે, તેઓએ કહ્યું હવે તમે સત્ય બતાવી દીધું, તેઓ આદેશનું પાલન કરવાવાળા ન હતા, પરંતુ તેને માન્યું અને તે ગાય કુરબાન કરી દીધી.
જ્યારે તમે એક વ્યક્તિનું કત્લ કરી દીધું, પછી તેમાં ઝઘડો કરવા લાગ્યા અને તમારી ગુપ્ત વાતોને અલ્લાહ તઆલા જાહેર કરવાવાળો હતો.
અમે કહ્યું કે તે ગાયનો એક ટુકડો મૃત વ્યક્તિ પર લગાવી દો (તે જીવિત થઇ જશે) આવી જ રીતે અલ્લાહ મૃતકોને જીવિત કરી તમને તમારી સમજદારી માટે પોતાની નિશાનીઓ દેખાડે છે.
ત્યાર પછી તમારા હૃદય પત્થર માફક પરંતુ તેનાથી પણ વધારે સખત થઇ ગયા, કેટલાક પત્થરો માંથી તો નહેરો વહી નીકળે છે અને કેટલાક તો ફાટી જાય છે અને તે માંથી પાણી નીકળે છે અને કેટલાક અલ્લાહના ભયથી પડી જાય છે અને તમે અલ્લાહ તઆલાને પોતાના કાર્યોથી અજાણ ન સમજો.
(મુસલમાનો) શું તમારી ઇચ્છા છે કે આ લોકો ઇમાનવાળા બની જાય, જો કે તેમાં એવા લોકો પણ જે અલ્લાહની વાણીને સાંભળી, બુધ્ધિશાળી અને જ્ઞાની હોવા છતાં પણ બદલી નાખે છે.
જ્યારે તેઓ ઇમાનવાળાઓને મળે છે તો કહે છે કે અમે ઇમાન લાવ્યા અને જ્યારે એક બીજાથી મળે છે તો કહે છે કે મુસલમાનોને એ વાતો કેમ પહોંચાડો છો જે અલ્લાહ તઆલાએ તમને શીખવાડી છે, શું જાણતા નથી કે આ તો અલ્લાહ પાસે તમારા પર તેઓનો પુરાવો બની જશે.
શું આ નથી જાણતા કે અલ્લાહતઆલા તેઓની છુપી અને જાહેર સૌ વાતોને જાણે છે ?
તેઓ માંથી કેટલાક અજ્ઞાની એવા પણ છે કે જેઓ કિતાબના ફકત જાહેર શબ્દોને જ જાણે છે અને ફકત કલ્પનાઓ ઉપર જ છે.
તે લોકો માટે વૈલ (જહન્નમની એક ખાડી) છે, જે પોતાના હાથોથી લખેલા પુસ્તકને અલ્લાહ તઆલા તરફનું કહે છે અને આવી રીતે દૂનિયા કમાય છે, તેઓના હાથોના લખાણને અને તેઓની કમાણીને વૈલ અને ખેદ છે.
આ લોકો કહે છે કે અમે તો ફકત થોડાક જ દિવસ જહન્નમમાં રહીશું તેઓને કહી દો કે શું તમારી પાસે અલ્લાહ તઆલાનો કોઇ પુરાવો છે ? જો છે તો નિંશંક અલ્લાહ તઆલા પોતાના વચનનો વિરોધ નહી કરે, (કદાપિ નહી) પરંતુ તમે તો અલ્લાહ માટે તે વાતો કહો છો જેને તમે નથી જાણતા.
નિંશંક જેણે પણ દુષ્કર્મો કર્યા અને તેની અવજ્ઞાઓએ તેને ઘેરામાં લઇ લીધો તે હંમેશા માટે જહન્નમી છે.
અને જે લોકો ઇમાન લાવ્યા અને સદકાર્યો કરે તે જન્નતી છે જેઓ તેમાં હંમેશા રહેશે.
અને જ્યારે અમે ઇસ્રાઇલના સંતાનથી વચન લીધું કે તમે અલ્લાહ સિવાય બીજાની બંદગી ન કરશો અને માતા-પિતા સાથે સદ્ વર્તન કરશો અને એવી જ રીતે સગા-સંબંધીઓ, અનાથો અને લાચારો સાથે અને લોકોને ભલી વાત કહેશો, નમાજની પાબંદી કરતા રહેશો અને ઝકાત આપતા રહેશો પરંતુ થોડાક લોકો સિવાય તમે સૌ ફરી ગયા અને મોઢું ફેરવી લીધું.
અને જ્યારે અમે તમારાથી વચન લીધું કે અંદર અંદર લોહી ન વહેડાવશો (કત્લ ન કરશો) અને એક બીજાને દેશનિકાલ ન કરશો, તમે એકરાર કર્યો અને તમે તેના સાક્ષી બન્યા.
પરંતુ તો પણ તમે અંદર અંદર કત્લ કર્યા અને અંદરના એક જૂથને દેશનિકાલ પણ કરી દીધા અને પાપ અને અત્યાચારના કાર્યોમાં તેઓના વિરોધમાં બીજાનો સાથ આપ્યો, હાઁ જ્યારે તેઓ કેદી બનીને તમારી પાસે આવ્યા તો તમે તેઓ માટે મુક્તિદંડ આપ્યો, પરંતુ તેઓનો દેશનિકાલ જે તમારા ઉપર હરામ હતું (તેનો કોઇ વિચાર પણ ન કર્યો), શું થોડાક આદેશોનું પાલન કરો છો અને થોડાક આદેશોને નથી માનતા ? તમારા માંથી જે પણ આવું કરે તેની સજા તે સિવાય શું હોય શકે કે દૂનિયામાં અપમાન અને કયામતના દિવસે સખત યાતનાની માર અને અલ્લાહ તઆલા તમારા કાર્યોથી અજાણ નથી.
આ તે લોકો છે જેમણે દૂનિયાના જીવનને આખેરતના બદલામાં ખરીદી લીધું છે, તેઓની ન તો યાતના સાધારણ હશે અને ન તો તેઓની મદદ કરવામાં આવશે.
અમે મૂસાને કિતાબ આપી અને તેમના પછી બીજા પયગંબરો અવતરિત કર્યા અને અમે મરયમના દીકરા ઇસાને પ્રકાશિત પુરાવા આપ્યા, અને રૂહુલ્ કુદુસ (જિબ્રઇલ અ.સ.) વડે તેમની મદદ કરાવી, પરંતુ જ્યારે પણ તમારી પાસે પયગંબર તે વસ્તુ લાવ્યા જે તમારા સ્વભાવથી વિરૂધ્ધ હતી, તમે ઝડપથી ઘમંડ કર્યુ, બસ કેટલાકને તો જુઠલાવી દીધા અને કેટલાકને કત્લ પણ કરી દીધા.
આ લોકો કહે છે કે અમારા હૃદયો પર પરદો છે, નહી, પરંતુ તેઓનાન ઇન્કારના કારણે તેઓને અલ્લાહ તઆલાએ ધિક્કારેલા કરી દીધા છે, તેઓનું ઇમાન થોડુંક જ છે.
અને તેઓ પાસે જ્યારે અલ્લાહ તઆલાની કિતાબ-તેઓની કિતાબને સત્ય ઠેરાવનારી આવી ગઇ, અને ઓળખી લીધા પછી પણ ઇન્કાર કરવા લાગ્યા, જો કે પહેલા આ લોકો પોતે (આના વડે) ઇન્કારીઓ ઉપર વિજય ઇચ્છતા હતા, અલ્લાહ તઆલાની ધિક્કાર થાય ઇન્કારીઓ ઉપર.
ઘણી જ ખરાબ છે તે વસ્તુ જેના બદલામાં તેઓએ પોતાને વેચી માર્યા, તે તેઓનું ઇન્કાર કરવું છે, અલ્લાહ તઆલા તરફથી અવતરિત કરેલ વસ્તુ સાથે ફકત એ વાતથી અદેખઇ કરતા કે અલ્લાહ તઆલાએ પોતાની કૃપા પોતાના જે બંદા પર ઇચ્છ્યું તેના પર કરી, તેના કારણે આ લોકો ગુસ્સા પર ગુસ્સાના લાયક થઇ ગયા અને તે ઇન્કારીઓ માટે અપમાનિત કરી દેનાર યાતના છે.
અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે અલ્લાહ તઆલાએ અવતરિત કરેલ કિતાબ પર ઇમાન લાવો તો કહે છે કે જે અમારા પર અવતરિત કરેલ છે તેના પર અમારૂ ઇમાન છે, જો કે ત્યાર પછી અવતરિત કરેલ કિતાબ સાથે જે તેઓની કિતાબની પુષ્ટી કરનારી છે, ઇન્કાર કરે છે, હાઁ તેઓ ને એવું તો કહો કે જો તમારૂ ઇમાન પહેલાની કિતાબો પર છે તો પછી તમે આગળના પયગંબરો ને કેમ કત્લ કર્યા ?
તમારી પાસે તો મૂસા આ જ પૂરાવા લઇને આવ્યા પરંતુ તો પણ તમે વાછરડાની પુજા કરી, તમે છો જ અત્યાચારી.
જ્યારે અમે તમારાથી વચન લીધું અને તમારા પર તૂરને ઉભો કરી દીધો (અને કહી દીધું) કે અમારી આપેલી વસ્તુને મજબુત પકડી રાખો, અને સાંભળો ! તો તેઓએ કહ્યું અમે સાંભળ્યુ અને અવજ્ઞા કરી અને તેઓના હૃદયોમાં વાછરડાનો પ્રેમ ઠોસી દેવામાં આવ્યો, તેઓના ઇન્કારના કારણે, તેઓને કહીં દો કે તમારૂ ઇમાન તમને ખોટો આદેશ આપી રહ્યો છે, જો તમે ઇમાનવાળા હોય.
તમે કહી દો કે જો આખેરતનું ઘર ફકત તમારા માટે જ છે, અલ્લાહની નજીક બીજા કોઇ માટે નથી તો આવો પોતાની સત્યવાતના પૂરાવા માટે મૃત્યુની ઇચ્છા કરો.
પરંતુ પોતાના કાર્યોને જોતા કયારેય મૃત્યુની ઇચ્છા નહી કરે, અલ્લાહ તઆલા અત્યાચારીઓને ખુબ સારી રીતે જાણે છે.
પરંતુ સૌથી વધારે દૂનિયાના જીવન માટે લોભી, હે નબી ! તમે તેઓને જ પામશો, આ જીવનના લોભી મુશરિકો કરતા પણ વધારે છે, તેઓ માંથી તો દરેક વ્યક્તિ એક હજાર વર્ષની વય ઇચ્છે છે, જો કે આ વય આપવી પણ તેઓને યાતનાથી છુટકારો નહી અપાવે, અલ્લાહ તઆલા તેઓના કાર્યોને ખુબ જ સારી રીતે જોઇ રહ્યો છે.
(હે નબી) તમે કહી દો કે જે જીબ્રઇલ નો શત્રુ હશે, જેણે તમારા હૃદય ઉપર અલ્લાહ નો આદેશ અવતરિત કર્યો છે જે આદેશ તેઓ પાસેની કિતાબની પુષ્ટી કરવાવાળું છે અને ઇમાનવાળા માટે માર્ગદર્શન અને શુભસુચના આપવાવાળું છે.
(તો અલ્લાહ પણ તેનો શત્રુ છે) જે વ્યક્તિ અલ્લાહ અને તેના ફરિશ્તાઓ અને તેના પયગંબરો અને જિબ્રઇલ અને મીકાઇલ નો શત્રુ હોય, આવા ઇન્કારીઓનો શત્રુ પોતે અલ્લાહ જ છે.
અને નિંશંક અમે તમારી તરફ ખુલ્લા પુરાવા અવતરિત કર્યા છે, જેનો ઇન્કાર દુરાચારી સિવાય કોઇ નથી કરતું.
આ લોકો જ્યારે પણ કોઇ વચન કરે છે તો તેઓનું કોઇ એક જૂથ તેને તોડી નાખે છે, પરંતુ તેઓ માંથી વધારે પડતા લોકો ઇમાનવાળા નથી.
જ્યારે પણ તેઓની પાસે અલ્લાહનો કોઇ પયગંબર તેઓની કિતાબની પુષ્ટી કરવાવાળો આવ્યો તે કિતાબવાળાના એક જૂથે અલ્લાહની કિતાબને એવી રીતે પીઠ પાછળ નાખી દીધી જેવી રીતે કે જાણતા જ નથી.
અને તે વસ્તુની પાછળ લાગી ગયા જેને શયતાનો સુલૈમાનના રાજ્યમાં પઢતા હતા, સુલૈમાન (અ.સ.) એ ઇન્કાર નહતો કર્યો, પરંતુ આ ઇન્કાર શતાનોનો હતો, તે લોકોને જાદુ શિખવાડતા હતા અને બાબિલમાં હારૂત અને મારૂત બન્ને ફરિશ્તાઓ પર જે અવતરિત કરવામાં આવ્યું હતું તે બન્ને પણ કોઇ વ્યક્તિને તે સમય સુધી નહોતા શિખવાડતા, જ્યાં સુધી કે આવું ન કહી દે કે અમે તો એક કસોટીમાં છે, તું ઇન્કાર ન કર, ફરી લોકો તેમનાથી તે શિખતા જેના વડે પતિ પત્નિ વચ્ચે વિચ્છેદ ઉભો થાય અને ખરેખર તે અલ્લાહ તઆલાની ઇચ્છા વગર કોઇને નુકસાન પહોંચાડી શકતા ન હતા, આ લોકો તે શિખે છે જે તેઓને નુકસાન પહોંચાડે અને ફાયદો ન પહોંચાડી શકે અને તે નિંશંક જાણે છે કે તેને લેવાવાળા માટે આખેરત માં કોઇ ભાગ નથી અને તે સૌથી ખરાબ વસ્તુ છે જેના બદલામાં તે પોતાને વેચી રહ્યા છે, કદાચ કે આ લોકો જાણતા હોત.
જો આ લોકો ઇમાન લાવી દેં તો અલ્લાહ તઆલાની તરફથી ઉત્તમ ષવાબ તેઓને મળતો, જો તેણો જાણતા હોત.
હે ઇમાનવાળાઓ તમે પયગંબર (સ.અ.વ.) ને ઙ્કરાઇનાઙ્ખ (મૂર્ખ) ન કહો, પરંતુ ઉન્-ઝુર્ના (અમારી તરફ જૂઓ) કહો, અને સાંભળતા રહો અને ઇન્કારીઓ માટે દુંખદાયી યાતના છે.
ન તો કિતાબવાળાના ઇન્કારીમાંથી અને ન તો મુશરિક લોકો ઇચ્છે છે કે તમારા પર તમારા પાલનહારની કોઇ કૃપા ઉતરે (તેઓના આ કપટથી શું થયું) અલ્લાહ તઆલા જેને ઇચ્છે પોતાની ખાસ દયા આપે છે, અલ્લાહ તઆલા ઘણી જ કૃપાઓવાળો છે.
જે આયતને અમે રદ કરી દઇએ અથવા તો ભુલાવી દઇએ, તેનાથી ઉત્તમ અથવા તો તેના જેવી જ બીજી લાવીએ છીએ, શું તમે નથી જાણતા કે અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવનાર છે.
શું તને જ્ઞાન નથી કે ધરતી અને આકાશનું સામ્રાજ્ય અલ્લાહ માટે જ છે, અને અલ્લાહ સિવાય તમારો કોઇ દોસ્ત અને મદદ કરનાર નથી.
શું તમે પોતાના પયગંબરને આ જ પુછવા ઇચ્છો છો જે તેના પહેલા મૂસા (અ.સ.) ને પુછવામાં આવ્યું હતું, સાંભળો ! ઇમાનને ઇન્કારથી બદલનારા સત્ય માર્ગ થી ભટકી જાય છે,
તે કિતાબવાળા માંથી વધુ લોકો સત્ય સ્પષ્ટ થઇ જવા છતાં ફકત અદેખાઇના કારણે તમને પણ ઇમાનથી હટાવી દેવા ઇચ્છે છે, તમે પણ માફ કરી દો અને છોડી દો ત્યાં સુધી કે અલ્લાહ તઆલા પોતાનો આદેશ લઇ આવે, નિંશંક અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.
તમે નમાજ પઢતા રહો અને ઝકાત આપતા રહો અને જે કંઇ ભલાઇ તમે પોતાના માટે આગળ મોકલશો દરેકને અલ્લાહ પાસે જોઇ લેશો, નિંશંક અલ્લાહ તઆલા તમારા કાર્યોને ખુબ સારી રીતે જોઇ રહ્યો છે.
આ લોકો કહે છે કે જન્નતમાં યહુદ અને ઇસાઇયો સિવાય કોઇ નહી જાય, આ ફકત તેઓની મનેચ્છાઓ છે, તેઓને કહી દો કે જો તમે સાચ્ચા હોય તો કોઇ પુરાવા તો બતાવો.
સાંભળો ! જે પણ પોતાને નિખાલસતા સાથે અલ્લાહની સમક્ષ ઝુકાવી દેં નિંશંક તેને તેનો પાલનહાર પુરો બદલો આપશે, તેના પર ન તો કોઇ ડર હશે ન નિરાશા અને ન ઉદાસી.
યહુદ કહે છે કે ઇસાઇઓ સત્યમાર્ગ પર નથી અને ઇસાઇઓ કહે છે કે યહુદીઓ સત્યમાર્ગ પર નથી, જ્યારે કે આ દરેક લોકો તૌરાત પઢે છે, આવી જ રીતે આમની માફક જ અજ્ઞાનીઓ પણ વાતો કહે છે, કયામત ના દિવસે અલ્લાહ તઆલા તેઓના આ વિરોધનો નિર્ણય તેઓ વચ્ચે કરી દેશે,
તે વ્યક્તિ થી વધુ અત્યાચારી કોણ છે જે અલ્લાહ તઆલાની મસ્જિદોમાં અલ્લાહ તઆલાના સ્મરણથી રોકે અને તેઓની બરબાદીની કોશીશ કરે, આવા લોકોએ ડર રાખતા જ ત્યાં જવું જોઇએ, તેઓ માટે દૂનિયામાં પણ અપમાન છે અને આખેરતમાં પણ મોટી યાતના છે,
અને પશ્ર્ચિમ અને પૂર્વનો માલિક અલ્લાહ જ છે, તમે જ્યાં પણ મોઢું ફેરવો ત્યાં જ અલ્લાહનું મોઢું છે, અલ્લાહ તઆલા સર્વગ્રાહી અને ખુબ જાણનાર છે.
આ લોકો કહે છે કે અલ્લાહ તઆલાની સંતાન છે (નહીં પરંતુ) તે પવિત્ર છે, ધરતી અને આકાશના દરેક સર્જન તેની માલિકી હેઠળ છે, અને દરેક તેની વાત માને છે.
તે ધરતી અને આકાશનું અદ્દભુત રીતે સર્જનકરનાર છે, તે જે કાર્યને કરવા ઇચ્છે કહી દે છે કે થઇ જા બસ ! તે ત્યાંજ થઇ જાય છે.
તેવી જ રીતે અજ્ઞાની લોકોએ પણ કહ્યું કે અલ્લાહ તઆલા પોતે અમારી સાથે વાત કેમ નથી કરતો અથવા અમારી પાસે કોઇ નિશાની કેમ નથી આવતી ? આવી જ રીતે આવી જ વાત તેઓના પુર્વજોએ પણ કહી હતી, તેઓના અને તેમના પૂર્વજોના હૃદયો સરખા થઇ ગયા, અમે તો વિશ્ર્વાસ રાખનારાઓ માટે નિશાનીઓ બતાવી દીધી.
અમે તો તમને સત્ય સાથે શુભસુચના આપનાર અને ડરાવનાર બનાવી મોકલ્યા છે અને જહન્નમીઓ વિશે તમને પુછવામાં નહી આવે.
તમારાથી યહુદ અને ઇસાઇઓ કદાપિ રાજી નહી થાય, જ્યાં સુધી કે તમે તેઓના પંથવાળા ન બની જાઓ, તમે કહી દો કે અલ્લાહનું માર્ગદર્શન જ માર્ગદર્શન છે અને જો તમે પોતાની પાસે જ્ઞાન આવી ગયા છતાં ફરીથી તેઓની મનેચ્છાઓનું અનુસરણ કર્યુ તો અલ્લાહ પાસે ન તમારો કોઇ દોસ્ત હશે અને ન તો કોઇ મદદ કરનાર.
જે લોકોને અમે કિતાબ આપી છે અને તેઓ તે કિતાબને ખરા વાંચનથી પઢે છે તેઓ આ કિતાબ પર પણ ઇમાન ધરાવે છે, અને જે તે કિતાબનો ઇન્કાર કરે તે નુકસાન ઉઠાવનાર છે.
હે ઇસ્રાઇલ્ના સંતાનો ! મેં જે કૃપાઓ તમારા ઉપર કરી છે તેને યાદ કરો અને મેં તો તમને સમગ્ર સૃષ્ટિ પર શ્રેષ્ઠતા આપી હતી.
તે દિવસથી ડરો જે દિવસે કોઇ જીવ કોઇ જીવને કંઇ પણ ફાયદો નહી પહોંચાડી શકે, ન કોઇ વ્યક્તિ પાસેથી કોઇ મુક્તિદંડ કબુલ કરવામાં આવશે, ન તો તેને કોઇની ભલામણ ફાયદો પહોંચાડશે, ન તો તેઓની મદદ કરવામાં આવશે.
જ્યારે ઇબ્રાહીમ (અ.સ.) ની તેમના પાલનહારે કેટલીય વાતોમાં કસોટી કરી અને તેઓ દરેક કસોટીમાં ખરા ઉતર્યા, તો અલ્લાહએ ફરમાવ્યું કે હું તમને લોકોનો સરદાર બનાવી દઇશ, કહેવા લાગ્યા અને મારા સંતાનને, ફરમાવ્યું મારૂ વચન અત્યાચારી લોકો માટે નથી.
અમે અલ્લાહના ઘર (બૈયતુલ્લાહ) ને લોકો માટે ષવાબ અને શાંતિની જગ્યા બનાવી, તમે ઇબ્રાહીમની જગ્યાએ જાઓ, નમાજ પઢો, અમે ઇબ્રાહીમ (અ.સ.) અને ઇસ્માઇલ (અ.સ.) પાસેથી વચન લીધું કે તમે મારા ઘરને તવાફ કરવાવાળા અને એઅતેકાફ કરવાવાળા અને રૂકુઅ-સિજદો કરવાવાળાઓ માટે પાક-સાફ રાખો.
જ્યારે ઇબ્રાહીમે કહ્યું હે પાલનહાર ! તું આ જગ્યાને શાંતિવાળુ શહેર બનાવ અને અહીંયાના રહેવાસીઓને જે અલ્લાહ તઆલા પર અને કયામતના દિવસ પર ઇમાન ધરાવનારા હોય ફળોની રોજી આપ. અલ્લાહ તઆલાએ ફરમાવ્યું હું ઇન્કારીઓને પણ થોડોક ફાયદો આપીશ, પછી તેઓને આગની યાતના તરફ લાચાર કરી દઇશ, આ જગ્યા ખરાબ છે.
ઇબ્રાહીમ (અ.સ.) અને ઇસ્માઇલ (અ.સ.) કાબાના પાયા અને દિવાલ બનાવતા જતા હતા અને કહેતા હતા અમારા પાલનહાર તું અમારાથી કબુલ કરી લેં, તું જ સાંભળનાર અને જાણનાર છે.
હે અમારા પાલનહાર ! અમને તારો આજ્ઞાકારી બનાવી લેં અને અમારા સંતાન માંથી પણ એક જૂથને પોતાના આજ્ઞાકારી બનાવ અને અમને પોતાની બંદગી શિખવાડ અને અમારી તૌબા કબૂલ કર, તું તૌબા કબૂલ કરવાવાળો અને દયા કરવાવાળો છે.
હે અમારા પાલનહાર ! તેઓ ની તરફ તેમના માંથી જ પયગંબર અવતરિત કર, જે તેઓ સામે તારી આયતો પઢે, તેઓને કિતાબ અને હિકમત શિખવાડે અને તેઓને પવિત્ર કરે, નિંશંક તું વિજયી અને હિકમતવાળો છે.
ઇબ્રાહીમના દીનથી તે જ અનિચ્છા દર્શાવશે જે મૂર્ખ હશે, અમે તો તેને દૂનિયામાં પણ પસંદ કરી લીધા અને આખેરતમાં પણ, તે સદાચારી લોકો માંથી છે.
જ્યારે પણ તેઓને તેઓના પાલનહારે કહ્યું આજ્ઞાકારી બની જાઓ તેઓએ કહ્યું મેં અલ્લાહની આજ્ઞાનું પાલન કર્યું.
તેની જ વસિયત, ઇબ્રાહીમ (અ.સ.) અને યાકુબ (અ.સ.) એ પોતાના સંતાનને કરી, કે અમારા સંતાનો, અલ્લાહ તઆલાએ તમારા માટે આ દીનને પસંદ કરી લીધો છે, ખબરદાર ! તમે મુસલમાન થઇને જ મૃત્યુ પામજો.
શું યાકુબના મૃત્યુ વખતે તમે હાજર હતા, જ્યારે તેમણે પોતાના સંતાનને કહ્યું કે મારા પછી તમે કોની બંદગી કરશો ? તો સૌએ જવાબ આપ્યો કે તમારા પૂજ્યની અને તમારા પૂર્વજો ઇબ્રાહીમ (અ.સ.) અને ઇસ્માઇલ (અ.સ.) અને ઇસ્હાક (અ.સ.) ના પૂજ્યની, જે એક જ છે અને અમે તેના જ આજ્ઞાકારી બનીને રહીશું.
આ જૂથ તો પસાર થઇ ગયું જે તેઓએ કર્યું તે તેઓના માટે છે અને જે તમે કરશો તે તમારા માટે છે, તેઓના કાર્યો વિશે તમને પુછવામાં નહી આવે.
આ લોકો કહે છે કે યહુદી અને ઇસાઇ બની જાવો તો સત્યમાર્ગ પામશો, તમે કહો ૅં પરંતુ સત્યમાર્ગ પર ઇબ્રાહીમના સમૂદાયના લોકો છે અને ઇબ્રાહીમ ફકત અલ્લાહની જ બંદગી કરતા હતા અને મુશરિક ન હતા.
હે મુસલમાનો ! તમે સૌ કહો કે અમે અલ્લાહ પર ઇમાન લાવ્યા અને તે વસ્તુ પર પણ જે અમારી તરફ અવતરિત કરવામાં આવી છે અને જે વસ્તુ ઇબ્રાહીમ (અ.સ.), ઇસ્માઇલ (અ.સ.), ઇસ્હાક (અ.સ.), યાકુબ (અ.સ.) અને તેઓના સંતાન પર અવતરિત કરવામાં આવી અને જે કંઇ પણ અલ્લાહની તરફથી મૂસા (અ.સ.) અને ઇસા (અ.સ.) અને બીજા પયગંબરો પર અવતરિત કરવામાં આવ્યું અમે તેઓ માંથી કોઇ વચ્ચે તફાવત નથી કરતા અમે અલ્લાહના આજ્ઞાકારી છે.
જો તેઓ તમારી માફક ઇમાન લાવે તો માર્ગદર્શન પામે અને જો મોઢું ફેરવે તો તે ખુલ્લા વિરોધી છે, અલ્લાહ તઆલા તેઓ માટે નજીક માંજ તમારા તરફથી પુરતો થઇ જશે અને તે બધું જ સાંભળનાર અને જાણનાર છે.
અલ્લાહ ના રંગને અપનાવો અને અલ્લાહથી ઉત્તમ રંગ કોનો હોઇ શકે ? અમે તો તેની જ બંદગી કરવાવાળા છે.
તમે કહી દો શું તમે અમારી સાથે અલ્લાહ બાબતે ઝઘડો કરો છો જે અમારો અને તમારો પાલનહાર છે, અમારા માટે અમારા કાર્યો અને તમારા માટે તમારા કાર્યો છે, અમે તો તેના માટે જ નિખાલસ છે,
શું તમે કહો છો કે ઇબ્રાહીમ (અ.સ.) અને ઇસ્માઇલ (અ.સ.) અને ઇસ્હાક (અ.સ.) અને યાકુબ (અ.સ.) અને તેઓના સંતાન યહુદી અથવા ઇસાઇ હતા ? કહી દો શું તમે વધુ જાણો છો અથવા અલ્લાહ તઆલા ? અલ્લાહ પાસે સાક્ષી છુપાવનાર થી વધુ અત્યાચારી કોણ હોઇ શકે ? અને અલ્લાહ તમારા કાર્યોથી અજાણ નથી.
આ સમૂદાય છે જે પસાર થઇ ચુક્યો, જે તેઓએ કર્યુ તે તેઓ માટે છે અને જે તમે કર્યુ તે તમારા માટે છે, તમને તેઓના કાર્યોની બાબત પુછવામાં નહી આવે.
નજીક માંજ અપરિપક્વ લોકો કહેશે કે જે કિબ્લા પર આ હતા તેઓને તેનાથી કઇ વસ્તુએ ફેરવ્યા ? તમે કહી દો કે પૂર્વ અને પશ્ર્ચિમનો પાલનહાર અલ્લાહ તઆલા જ છે, તે જેને ઇચ્છે સત્યમાર્ગ બતાવે છે.
અમે આવી જ રીતે તમને ન્યાયી સમૂદાય બનાવી છે, જેથી તમે લોકો ઉપર સાક્ષી બની જાઓ અને પયગંબર (સ.અ.વ.) તમારા પર સાક્ષી બની જાય, જે કિબ્લા પર તમે પહેલાથી હતા તેને અમે ફકત એટલા માટે નક્કી કર્યો હતો કે અમે જાણી લઇએ કે પયગંબર નો સાચો આજ્ઞાકારી કોણ છે ? અને કોણ છે જે પોતાની એડીઓ વડે પાછો ફરે છે, જો કે આ કાર્ય સખત છે પરંતુ જેને અલ્લાહએ માર્ગદર્શન આપ્યું છે (તેઓ માટે કોઇ સખત નથી) અલ્લાહ તઆલા તમારા ઇમાનને વેડફી નહી નાખે, અલ્લાહ તઆલા લોકો સાથે દયા અને કૃપા કરવાવાળો છે.
અમે તમારા મોઢાને વારંવાર આકાશ તરફ જોતા જોઇ રહ્યા છે, હવે અમે તમને તે કિબ્લા તરફ ફેરવીશું જેનાથી તમે ખુશ થઇ જાઓ, તમે પોતાનું મોઢું મસ્જિદે હરામ તરફ ફેરવી લો અને તમે જ્યાં પણ હોય પોતાનું મોઢું તેની જ તરફ કરતા રહો, કિતાબવાળાને આ વાત અલ્લાહ તરફ થી જ છે તેનું જ્ઞાન તેઓને ચોક્કસપણે છે. અને અલ્લાહ તઆલા તે કાર્યોથી અજાણ નથી જે આ લોકો કરી રહ્યા છે.
અને તમે જો કિતાબવાળાઓને દરેક પુરાવા આપી દો પરંતુ તેઓ તમારા કિબ્લાનું અનુસરણ નહી કરે, અને ન તમે તેઓના કિબ્લાને માનવાવાળા છો અને ન આ લોકો અંદર અંદર એકબીજાના કિબ્લાને માનવાવાળા છે અને જો તમારી પાસે જ્ઞાન આવી પહોંચ્યા પછી પણ તેઓની મનેચ્છાઓ પાછળ લાગી ગયા તો નિંશંક તમે પણ અત્યાચારી બની જશો.
જેઓને અમે કિતાબ આપી છે તેઓ તો તેને એવી રીતે જાણે છે જેવું કે કોઇ પોતાની સંતાનને ઓળખે, તેઓનું એક જૂથ સત્યને ઓળખ્યા પછી પણ છુપાવે છે.
તમારા પાલનહાર તરફથી આ ખરેખર સાચું છે, ખબરદાર ! તમે શંકા કરવાવાળાઓ માંથી ન થઇ જશો,
દરેક વ્યક્તિ એક ના એક તરફ ફરી રહ્યો છે, તમે સદકાર્યો તરફ ભાગો, જ્યાં પણ તમે હશો અલ્લાહ તમને લઇ આવશે, અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.
તમે જ્યાંથી નીકળો પોતાનું મોઢું (નમાઝ માટે) મસ્જિદે હરામ તરફ કરી લો. આ જ સત્ય છે તમારા પાલનહાર તરફથી, જે કંઇ પણ તમે કરી રહ્યા છો તેનાથી અલ્લાહ તઆલા અજાણ નથી.
અને જે જગ્યાથી તમે નીકળો પોતાનું મોઢું મસ્જિદે હરામ તરફ કરી લો અને જ્યાં પણ તમે છો પોતાનું મોઢું તેની જ તરફ કર્યા કરો, જેથી લોકોનો કોઇ પુરાવો તમારા પર બાકી ન રહે, સિવાય તે લોકોથી જેઓએ અત્યાચાર કર્યો છે, તમે તેઓથી ન ડરો, મારાથી જ ડરો જેથી તમારા પર પોતાની કૃપા પૂરી કરું અને એટલા માટે પણ કે તમે સત્ય માર્ગ પામી લો.
જેવી રીતે અમે તમારા માંથી જ એક પયગંબર અવતરિત કર્યા જે અમારી આયતો તમારી સમક્ષ પઢે છે, અને તમને પવિત્ર કરે છે, અને તમને કિતાબ અને હિકમત અને તે વસ્તુઓ શિખવાડે છે જેનાથી તમે અજાણ હતા.
એટલા માટે તમે મારા નામનું સ્મરણ કરો, હું પણ તમને યાદ કરીશ, મારો આભાર માનો અને કૃતજ્ઞાથી બચો.
હે ઇમાનવાળાઓ ! ધૈર્ય અને નમાજ વડે (અલ્લાહથી) મદદ માંગો, અલ્લાહ તઆલા ધીરજ રાખનાર નો સાથ આપે છે.
અને અલ્લાહ તઆલાના માર્ગમાં શહીદોને મૃતક ન કહો, તેઓ જીવિત છે, પરંતુ તમે સમજતા નથી.
અને અમે કોઇને કોઇ રીતે તમારી કસોટી જરૂરથી કરીશું, શત્રુના ભયથી, ભુખ અને તરસ વડે, ધન અને જીવ વડે, અને ફળોની અછતથી અને ધીરજ રાખનારને શુભસુચના આપી દો.
જેઓ પર જ્યારે પણ કોઇ મુસીબત આવી પહોંચે છે તો કહી દે છે કે અમે તો પોતે અલ્લાહની માલિકી હેઠળ છે અને અમે તેની જ તરફ પાછા ફરવાનાછે.
તેઓ પર તેઓના પાલનહારની કૃપાઓ અને દયાઓ છે અને આ જ લોકો સત્યમાર્ગ પર છે.
સફા અને મરવહ અલ્લાહની નિશાનીઓ માંથી છે, એટલા માટે બૈયતુલ્લાહનો હજ અને ઉમરહ કરવાવાળા પર, તેનો (સફા અને મરવહ) તવાફ કરવામાં કોઇ ગુનોહ નથી, પોતાની રજાથી ભલાઇ કરવાવાળાની અલ્લાહ કદર કરે છે, અને તેઓને ખુબ જ સારી રીતે જાણે છે.
જે લોકો અમારી અવતરિત કરેલા પુરાવા અને સત્યમાર્ગને છુપાવે છે તે છતાં કે અમે અમારી કિતાબમાં લોકો માટે બયાન કરી ચુકયા છે, તેઓ પર અલ્લાહની અને દરેક લઅનત (શાપ) કરવાવાળાઓની લઅનત (શાપ) છે.
પરંતુ જે લોકો તૌબા કરી લે અને સુધારો કરી લે અને બયાન કરી દે તો હું તેઓની તૌબા કબુલ કરી લઉ છું અને હું તૌબા કબુલ કરવાવાળો અને દયા કરનાર છું.
નિંશંક જે ઇન્કારીઓ પોતાના ઇન્કાર માંજ મૃત્યુ પામે તેઓ પર અલ્લાહ તઆલાની, ફરિશ્તાઓની અને દરેક લોકોની લઅનત (શાપ) છે.
જેમાં આ લોકો હંમેશા રહેશે, ન તેઓ પર યાતના ઓછી કરવામાં આવશે અને ન તેઓને છુટ આપવામાં આવશે.
તમારા સૌનો પુજ્ય એક જ છે, તેના સિવાય કોઇ સાચો પુજ્ય નથી, તે ઘણો જ દયા કરનાર અને ઘણો જ કૃપાળુ છે.
આકાશો અને ધરતીનું સર્જન, રાત-દિવસનું આવવું જવું, હોડીનું લોકોને ફાયદો પહોંચાડનારી વસ્તુઓને લઇને સમુદ્રોમાં ચાલવું, આકાશ માંથી પાણી વરસાવી મૃત ધરતીને જીવિત કરી દેવી, તેમાં દરેક પ્રકારના જાનવરને ફેલાવી દેવા, હવાઓની દિશા બદલવી અને વાદળ જે આકાશ અને ધરતી વચ્ચે છે તેમાં બુધ્ધીશાળી લોકો માટે અલ્લાહની નિશાનીઓ છે.
કેટલાક લોકો એવા પણ છે જે અલ્લાહના ભાગીદાર ઠેરાવીને તેઓથી એવી મુહબ્બત રાખે છે જેવી મુહબ્બત અલ્લાહથી હોવી જોઇએ, અને ઇમાનવાળાઓ અલ્લાહની મુહબ્બતમાં ઘણા જ સખત હોય છે, કદાચ મુશરિક લોકો જાણતા જ્યારે કે અલ્લાહની યાતનાને જોઇ (જાણી લેશે) કે દરેક પ્રકારની તાકાત અલ્લાહને જ છે અને અલ્લાહ સખત યાતના આપનાર છે, (તો કદાપિ અલ્લાહ સાથે ભાગીદાર ન ઠેરવતા).
જે સમયે ભાગીદારો પોતાનો અનુસરણ કરનારાઓથી કંટાળી જશે અને યાતનાને પોતાની આંખોથી જોઇ લેશે અને બધા જ સંબંધો તુટી જશે.
અને અનુસરણ કરનાર કહેવા લાગશે, કદાચ અમે દુનિયા તરફ બીજી વાર જતા તો અમે પણ તેઓથી એવી જ રીતે કંટાળી જતાં જેવી રીતે આ અમારાથી છે, આવી જ રીતે અલ્લાહ તઆલા તેઓને તેઓના કાર્યો બતાવશે તેઓની દિલગીરી માટે, તેઓ કદાપિ જહન્નમ માંથી નહી નીકળે.
લોકો ! ધરતી પર જેટલી પણ હલાલ અને પવિત્ર વસ્તુઓ છે તેઓને ખાઓ પીવો અને શેતાનના માર્ગ પર ન ચાલો, તે તમારો ખુલ્લો શત્રુ છે.
તે તમને ફકત બુરાઇ અને અશ્ર્લિલતા અને અલ્લાહ માટે તે વાતો કહેવાનો આદેશ આપે છે જેનું તમને જ્ઞાન નથી.
અને તેઓને જ્યારે પણ કહેવામાં આવે કે અલ્લાહ તઆલાની અવતરિત કરેલી કિતાબનું અનુસરણ કરો તો જવાબ આપે છે કે અમે તો તે જ માર્ગનું અનુસરણ કરીશું જેના પર અમે અમારા પુર્વજોને જોયા, જો કે તેઓના પુર્વજો નાસમજ અને માર્ગથી હટેલા હતા.
ઇનકારીઓનું ઉદાહરણ તે જાનવરો જેવું છે જે પોતાના રખેવાળની ફકત અવાજ સાંભળે છે (સમજતા નથી) તેઓ બહેરા, ગુંગા અને આંધળા છે, તેઓને બુધ્ધી નથી.
હે ઇમાનવાળાઓ ! જે પવિત્ર વસ્તુઓ અમે તમને આપી રાખી છે તેને ખાઓ પીવો, અને અલ્લાહ તઆલાનો આભાર માનો, જો તમે ફકત તેની જ બંદગી કરતા હોય.
તમારા પર મૃતક અને (વહેતું) લોહી અને ડુક્કરનું માંસ અને તે દરેક વસ્તુ જેના પર અલ્લાહ સિવાય બીજાનું નામ લેવામાં આવ્યું હોય, હરામ છે. પછી જેની પાસે કોઇ વિકલ્પ ન હોય અને તે હદવટાવી જનાર અને અત્યાચારી ન હોય, તેના પર તે ખાવું કોઇ પાપ નથી, અલ્લાહ તઆલા માફ કરી દેનાર, કૃપાળુ છે.
નિંશંક જે લોકો અલ્લાહ તઆલાની અવતરિત કરેલી કિતાબને છુપાવે છે અને તેને નજીવી કિંમતે વેચે છે ખરેખર આ લોકો પોતાના પેટમાં આગ ભરી રહ્યા છે, કયામતના દિવસે અલ્લાહ તઆલા તેઓ સાથે વાત પણ નહી કરે, ન તેઓને પવિત્ર કરશે, પરંતુ તેઓ માટે દુંખદાયી યાતના છે.
આ તે લોકો છે જેમણે પથભ્રષ્ટતાને સત્યમાર્ગના બદલામાં અને યાતનાને માફીના બદલામાં ખરીદી લીધા છે, આ લોકો આગની યાતના કેટલી સહન કરી શકશે.
તે યાતનાનું કારણ આ જ છે કે અલ્લાહ તઆલાએ સાચી કિતાબ અવતરિત કરી અને આ કિતાબનો વિરોધ કરનારાઓ નિંશંક દૂરના વિરોધીઓ છે.
દરેક ભલાઇ પુર્વ અને પશ્ર્ચિમ તરફ મોઢું કરવામાં જ નથી પરંતુ ખરેખર સારો વ્યક્તિ તે છે જે અલ્લાહ તઆલા પર, કયામતના દિવસ પર, ફરિશ્તાઓ પર, અલ્લાહની કિતાબ પર અને પયગંબરો પર ઇમાન ધરાવે છે, જે ધનથી મુહબ્બત કરવા છતાં સગા-સંબધીઓ, યતીમો, લાચારો, મુસાફરો અને માંગનારને આપે, દાસોને છોડાવે, નમાજની પાબંદી કરે અને ઝકાત આપતો રહે, જ્યારે વચન કરે ત્યારે તેને પુરૂ કરે, આપત્તિ, દુંખદર્દ અને ઝઘડા વખતે ધીરજ રાખે, આ જ સાચા લોકો છે અને આ જ ડરનારાઓ છે.
હે ઇમાનવાળાઓ ! તમારા પર મરનારનો બદલો લેવાનું જરૂરી કરવામાં આવ્યું છે, સ્વતંત્ર વ્યક્તિ-સ્વતંત્ર વ્યક્તિના બદલામાં, દાસ-દાસના બદલામાં, સ્ત્રી-સ્ત્રીના બદલામાં. હાઁ જે કોઇને તેના ભાઇ તરફથી થોડીક માફી આપી દેવામાં આવે તેણે ભલાઇનું અનુસરણ કરવું જોઇએ અને સરળતાથી મુક્તિદંડ આપી દેવો જોઇએ, તમારા પાલનહાર તરફથી આ ઘટાડો અને દયા છે, તે પછી પણ જે અતિરેક કરે તેને દુંખદાયી યાતના થશે.
બુધ્ધીશાળી લોકો ! બદલો લેવામાં તમારા માટે જીવન છે, આ કારણે તમે (કારણ વગર કત્લ કરવાથી) રોકાઇ જશો.
તમારા પર જરૂરી કરી દેવામાં આવ્યું છે કે જ્યારે તમારા માંથી કોઇ મૃત્યુની અવસ્થામાં હોય અને ધન છોડી જતો હોય તો પોતાના માતા-પિતા અને સંબંધીઓ માટે સારી રીતે વસિયત કરી દેં, ડરવાવાળાનો આ હક્ક છે.
હવે જે વ્યક્તિ આને સાંભળ્યા પછી બદલી નાખે તેનું પાપ બદલવાવાળા પર જ થશે, ખરેખર અલ્લાહ તઆલા સાંભળનાર, જાણનાર છે.
હાઁ જે વ્યક્તિ વસિયત કરનારની તરફ્દારી અથવા ગુનાહની વસિયતથી ડરતો હોય તો તે તેઓની વચ્ચે મેળાપ કરાવી દે તો તેના પર ગુનોહ નથી, અલ્લાહ તઆલા માફ કરનાર, કૃપાળુ છે.
હે ઇમાનવાળાઓ ! તમારા પર રોઝા રાખવા જરૂરી કરી દેવામાં આવ્યા છે, જેવી રીતે તમારા પહેલાના લોકો પર જરૂરી કરી દેવામાં આવ્યા હતા, જેથી તમે ડરવાવાળા બની જાઓ.
ગણતરીના થોડાક જ દિવસ છે, પરંતુ તમારા માંથી જે વ્યક્તિ બિમાર હોય અથવા સફરમાં હોય તો તે બીજા દિવસોમાં ગણતરી પુરી કરી દે અને તેની શક્તિ ધરાવનાર ફિદયહમાં એક લાચારને ખાવાનું ખવડાવે, પરંતુ તમારા માટે ઉત્તમ કાર્ય રોઝા રાખવા જ છે, જો તમે જાણતા હોય.
રમઝાન માસ તે છે જેમાં કુરઆન અવતરિત કરવામાં આવ્યું જે લોકોને સત્ય માર્ગ બતાવનાર છે અને જેમાં સત્ય માર્ગદર્શનની અને સત્ય અને અસત્યની વચ્ચે તફાવત માટેની નિશાનીઓ છે, તમારા માંથી જે વ્યક્તિ આ મહિનો પામી લે તેણે રોઝો રાખવો જોઇએ, હાઁ જે બિમાર હોય અથવા મુસાફર હોય તેણે બીજા દિવસોમાં આ ગણતરી પુરી કરી લેવી જોઇએ, અલ્લાહ તઆલાની ઇચ્છા તમારી સાથે સરળતાની છે, સખતાઇ ની નહી, તે ઇચ્છે છે કે તમે ગણતરી પુરી કરી લો અને અલ્લાહ તઆલાએ આપેલા માર્ગદર્શન પર તેની પ્રસન્નતાનું વર્ણન કરો અને તેનો આભાર માનો.
જ્યારે મારા બંદાઓ મારા વિશે તમારાથી સવાલ કરે તો તમે કહી દો કે હું ઘણો જ નજીક છું, દરેક પોકારવાવાળા ની પોકારને જ્યારે પણ તે મને પોકારે, કબુલ કરુ છું, એટલા માટે લોકો પણ મારી વાત માની લેં અને મારા પર ઇમાન ધરાવે, આ જ તેમની ભલાઇનું કારણ છે.
રોઝાની રાત્રીઓમાં પોતાની પત્નિઓ સાથે મળવું તમારા માટે હલાલ કરવામાં આવ્યું છે, તે તમારો પોશાક છે અને તમે તેણીઓનો પોશાક છો, તમારી છુપી અપ્રમાણિકતાને અલ્લાહ તઆલા જાણે છે, તેણે તમારી તૌબા કબુલ કરી તમને માફ કરી દીધા, હવે જો તમે તેણીઓ સાથે સમાગમ કર્યું અને અલ્લાહ તઆલાની લખેલી વસ્તુઓને શોધવાની પરવાનગી છે, તમે ખાતા-પીતા રહો અહીં સુધી કે સવારનો સફેદ દોરો કાળા દોરા વડે જાહેર થઇ જાય, પછી રાત સુધી રોઝો પુરો કરો અને પત્નિઓ સાથે તે સમયે સમાગમ ન કરો, જ્યારે તમે મસ્જિદોમાં એઅતેકાફમાં હોય, આ અલ્લાહ તઆલાની હદો છે, તમે તેણીઓની નજીક પણ ન જાઓ, આવી જ રીતે અલ્લાહ તઆલા પોતાની આયતો લોકો માટે બયાન કરે છે, જેથી તેઓ બચતા રહે.
અને એક બીજાનું ધન અયોગ્ય રીતે ન ખાઓ, અને ન ન્યાયાધીશોને લાંચ આપી કોઇનું ધન અત્યાચાર કરી અપનાવી લો, જ્યારે કે તમે જાણો છો.
લોકો તમારાથી ચંદ્ર વિશે સવાલ કરે છે, તમે કહી દો કે આ લોકો (નીબંદગી) નો સમય અને હજ્જના દિવસો માટે છે, (એહરામ ની સ્થિતીમાં) અને ઘરો ના પાછળથી તમારૂ આવવું કંઇ સદકાર્ય નથી, પરંતુ સદાચારી તે છે જે ડરવાવાળો હોય અને ઘરોમાં તો દરવાજાઓ માંથી આવ્યા કરો, અને અલ્લાહથી ડરતા રહો, જેથી તમે સફળ થઇ જાવ.
અલ્લાહના માર્ગમાં લડો તેઓની સાથે જે તમારા સાથે લડે છે અને અતિરેક ન કરો, અલ્લાહ તઆલા અતિરેક કરનારને પસંદ નથી કરતો.
તેઓને મારો, જ્યાં પણ મળે અને તેઓને કાઢો ત્યાંથી જ્યાંથી તેઓએ તમને કાઢયા છે અને (સાંભળો) વિદ્રોહ કત્લથી વધારે સખત છે અને મસ્જિદે હરામ પાસે તેઓ સાથે ઝઘડો ન કરો, જ્યાં સુધી કે તેઓ પોતે તમારા સાથે ઝઘડો ન કરે, જો તેઓ તમારા સાથે ઝઘડે તો તમે પણ તેઓને મારો, ઇન્કારીઓ માટે આ જ બદલો છે.
જો આ લોકો (લડાઇ-ઝઘડો) છોડી દે તો અલ્લાહ તઆલા માફ કરનાર, કૃપાળુ છે.
તેઓ સાથે લડો જ્યાં સુધી કે વિદ્રોહ ખતમ ન થઇ જાય અને અલ્લાહ તઆલા નો દીન વિજય પ્રાપ્ત ન કરી લે, જો આ લોકો અટકી જાય (તો તમે પણ અટકી જાવ) અતિરેક તો ફકત અત્યાચારીઓ પર જ છે.
પવિત્ર મહીનાઓ પવિત્ર મહીનાના બદલામાં છે અને પવિત્રતા બદલાની છે (પવિત્ર માસમાં સમાનતાનું ધ્યાન રખાશે), જે તમારા પર અતિરેક કરે તમે પણ તેના પર તેના જેવો જ અતિરેક કરો જે તમારા પર કરે છે અને અલ્લાહ તઆલાથી ડરતા રહો અને જાણી લો કે અલ્લાહ તઆલા ડરવાવાળાઓની સાથે છે.
અલ્લાહ તઆલાના માર્ગમાં ખર્ચ કરો અને પોતાના હાથે જ બરબાદ ન થાઓ અને સુમેળ ભર્યો વ્યવહાર કરો, અલ્લાહ તઆલા ઉપકાર કરવાવાળાઓને પસંદ કરે છે.
હજ્જ અને ઉમરહને અલ્લાહ તઆલા માટે પુરા કરો, હાઁ જો તમને રોકી લેવામાં આવે તો જે કુરબાનીની સહુલત હોય તેને કરી નાખો અને પોતાના માથાના વાળ ન કપાવો જ્યાં સુધી કે કુરબાની કુરબાનીની જગ્યાએ ન પહોંચી જાય, હાઁ તમારા માંથી જે બિમાર હોય અથવા તેના માથામાં કોઇ તકલીફ હોય (જેના કારણે માથાના વાળ કપાવી લે) તેના પર મુક્તિદંડ છે, ઇચ્છે તો રોઝો રાખી લે અથવા તો દાન કરી દે અથવા તો કુરબાની કરી દે, બસ જ્યારે તમે શાંતિની સ્થિતીમાં આવી જાવ તો જે વ્યક્તિ ઉમરહથી લઇ હજ્જ સુધી તમત્તુઅ (હજ્જનો એક પ્રકાર) કરે, બસ ! તેને જે કુરબાનીની સહુલત હોય તેને કરી દે, જેને શક્તિ ન હોય તે ત્રણ રોઝા હજ્જના દિવસોમાં રાખી લે અને સાત રોઝા પાછા ફરતી વખતે, આ પુરા દસ થઇ રોઝા થઇ ગયા, આ આદેશ તે લોકો માટે છે જે મસ્જિદે હરામના રહેવાસી ન હોય, લોકો ! અલ્લાહથી ડરતા રહો અને જાણી લો કે અલ્લાહ તઆલા સખત યાતના આપનાર છે.
હજ્જના મહિના નક્કી છે, એટલા માટે જે વ્યક્તિ તે માસમાં હજ્જ કરે તે પોતાની પત્નિ સાથે સમાગમ કરવાથી, ગુનાહ કરવાથી અને લડાઇ ઝઘડો કરવાથી બચતો રહે, તમે જે પણ સદકાર્ય કરશો તેને અલ્લાહ ખુબ સારી રીતે જાણે છે, અને પોતાની સાથે સફર ખર્ચ લઇ લો, સૌથી ઉત્તમ ભથ્થું તો અલ્લાહ તઆલા નો ડર છે અને હે બુધ્ધિશાળી લોકો ! મારાથી ડરતા રહો.
તમારા પર પોતાના પાલનહારની કૃપા શોધવામાં કોઇ વાંધો નથી, જ્યારે તમે અરફાત થી પાછા ફરો તો મશઅરે હરામ (એક પવિત્ર જગ્યાનું નામ) પાસે અલ્લાહના નામનું સ્મરણ કરો અને તેનું સ્મરણ તેવી રીતે કરો જેવી રીતે તેણે તમને માર્ગદર્શન આપ્યું, જો કે તમે આ પહેલા માર્ગથી ભટકી ગયેલા હતા.
પછી તમે તે જગ્યાએથી પાછા ફરો જે જગ્યાએથી સૌ પાછા ફરે છે અને અલ્લાહ તઆલાથી માફી માંગતા રહો, નિંશંક અલ્લાહ તઆલા માફ કરનાર, દયાળુ છે.
પછી તમે જ્યારે હજ્જના સિદ્રાંતો પુરા કરી લો તો અલ્લાહના નામનું સ્મરણ કરો જેવી રીતે તમે પોતાના પુર્વજોના નામનું સ્મરણ કરતા રહો છો પરંતુ તેનાથી પણ વધારે, કેટલાક તે લોકો પણ છે જે કહે છે હે અમારા પાલનહાર ! અમને દુનિયામાં ભલાઇ આપ, આવા લોકો માટે આખેરત (પરલોક) માંકોઇ ભાગ નથી.
અને કેટલાક લોકો તેવા પણ છે જે કહે છે કે હે અમારા પાલનહાર ! અમને દૂનિયામાં સદકાર્ય કરવાની પ્રેરણા આપ અને આખેરત (પરલોક) માં પણ ભલાઇ આપ અને અમને જહન્નમની યાતનાથી બચાવી લે.
આ તે લોકો છે જેમના માટે તેઓના કાર્યોનો બદલો છે અને અલ્લાહ તઆલા નજીક માંજ હિસાબ લેવાવાળો છે.
અને અલ્લાહ તઆલાના નામનું સ્મરણ ગણતરીના કેટલાક દિવસોમાં કરો. (તશ્રીકના દિવસો એટલે કે ઝિલ્ હિજ્જહની૧૧,૧૨,૧૩, તારીખ) બે દિવસ સ્મરણ કરવાવાળા પર પણ કોઇ વાંધો નથી અને જે પાછળ રહી જાય તેના પર પણ કોઇ ગુનોહ નથી, આ ડરવાવાળાઓ માટે છે અને અલ્લાહ તઆલાથી ડરતા રહો અને જાણી લો કે તમે સૌ તેની જ તરફ ભેગા કરવામાં આવશો.
કેટલાક લોકોની દૂનિયાની વાતો તમને રાજી કરી દે છે અને તે પોતાના હૃદયની વાતો પર અલ્લાહને સાક્ષી ઠેરવે છે, જો કે તે કજિયાખોર છે.
જ્યારે તે પાછો ફરે છે તો ધરતી પર અત્યાચાર ફેલાવવા, ખેતી અને પેઢીને બરબાદ કરવા માટેના પ્રયત્નો કરતો રહે છે અને અલ્લાહ તઆલા અત્યાચારને પસંદ કરતો નથી.
અને જ્યારે તેને કહેવામાં આવે છે કે અલ્લાહથી ડર તો ઘમંડ અને અદેખાઇ તેને ગુનોહ કરવા પર ઉભારે છે, આવા લોકોનું ઠેકાણું ફકત જહન્નમ છે અને નિંશંક તે ઘણું જ ખરાબ ઠેકાણું છે.
અને કેટલાક લોકો એવા પણ છે કે અલ્લાહ તઆલાને રાજી કરવા માટે પોતાનો જીવ પણ વેચી નાખે છે અને અલ્લાહ તઆલા પોતાના બંદાઓ પર ઘણી જ કૃપા કરનાર છે.
ઇમાનવાળાઓ ! ઇસ્લામમાં પુરેપુરા દાખલ થઇ જાવ અને શેતાનના માર્ગનું અનુસરણ ના કરો તે તમારો ખુલ્લો શત્રુ છે.
તમારી પાસે પુરાવા આવી જવા છતાં પણ લપસી જાવ તો જાણી લો કે અલ્લાહ તઆલા વિજયી અને હિકમતવાળો છે,
શું લોકો તે વાતની રાહ જૂએ છે કે તેઓ પાસે પોતે અલ્લાહ તઆલા ધુમ્મસના છાયાઓમાં આવી જાય અને ફરિશ્તાઓ પણ અને કાર્યોના નિર્ણય કરે, અલ્લાહ તરફ જ દરેક કાર્યો પાછા ફેરવવામાં આવે છે,
ઇસ્રાઇલના સંતાનોને સવાલ કરો કે અમે તેઓને કેવી કેવી ખુલ્લી નિશાનીઓ આપી અને જે વ્યક્તિ અલ્લાહ તઆલાની નેઅમતો ને પોતાની પાસે પહોંચી ગયા પછી બદલી નાખે (તે જાણી લે) કે અલ્લાહ તઆલા સખત યાતના આપનાર છે.
ઇન્કારીઓ માટે દૂનિયાનું જીવન ઘણું જ શણગારવામાં આવ્યું છે, તે ઇમાનવાળાઓની ઠઠ્ઠા-મશકરી કરે છે, જો કે ડરવાવાળાઓ કયામત દિવસે તેઓથી ઉત્તમ હશે, અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે ઘણી જ રોજી આપે છે.
અસલમાં લોકો એક જ જૂથ હતા અલ્લાહ તઆલાએ પયગંબરોને શુભસુચના આપનારા અને ડરાવનારા બનાવીને મોકલ્યા અને તેઓની સાથે-સાથે સાચી કિતાબ અવતરિત કરી, જેથી લોકોના દરેક ઝઘડાનો નિર્ણય આવી જાય અને ફકત તે જ લોકોએ- જેમને કિતાબ આપવામાં આવી હતી પોતાની પાસે પુરાવા આવી ગયા છતાં અંદર અંદર ખારના કારણે તેમાં ઝઘડો કર્યો, એટલા માટે અલ્લાહ તઆલા ઇમાનવાળાઓને આ ઝઘડામાં પણ સત્ય તરફ પોતાની ઇચ્છા વડે માર્ગદર્શન આપ્યું અને અલ્લાહ તઆલા જેને ઇચ્છે સત્ય માર્ગદર્શન આપે છે.
શું તમે એવું વિચારી બેઠાછો કે જન્નતમાં ચાલ્યા જશો જો કે હજુ સુધી તમારા પર તે સ્થિતી નથી આવી જે તમારા પુર્વજો પર આવી હતી, તેઓને બિમારીઓ અને તકલીફો પહોંચી અને તે ત્યાં સુધી હલાવી નાખવામાં આવ્યા કે પયગંબર અને તેઓની સાથે ઇમાનવાળાઓ કહેવા લાગ્યા કે અલ્લાહ ની મદદ ક્યારે આવશે ? સાંભળો કે અલ્લાહ ની મદદ નજીક જ છે.
તમને સવાલ કરે છે કે તે શું ખર્ચ કરે ? તમે કહી દો કે જે ધન તમે ખર્ચ કરો તે માતા-પિતા માટે છે અને સગા-સબંધી અને અનાથો, લાચારો અને મુસાફરો માટે છે અને તમે જે કંઇ પણ ભલાઇ કરશો અલ્લાહ તઆલા તે જાણે છે.
તમારા પર જેહાદ જરૂરી કરવામાં આવ્યું છે ભલેને તે તમને કઠણ લાગે, શક્ય છે કે તમે કોઇ વસ્તુને ખરાબ સમજો અને ખરેખર તે તમારા માટે સારી હોય અને આ પણ શક્ય છે કે તમે કોઇ વસ્તુને સારી સમજો પરંતુ તે તમારા માટે ખરાબ હોય, સાચું જ્ઞાન અલ્લાહને જ છે, તમે અજાણ છો.
લોકો તમને પવિત્ર મહિનાઓમાં યુધ્ધ વિશે સવાલ કરે છે, તમે કહી દો કે આમાં યુધ્ધ કરવું ખુબ જ મોટું પાપ છે, પરંતુ અલ્લાહના માર્ગથી રોકવું તેનો ઇન્કાર કરવો મસ્જિદે હરામથી રોકવું અને ત્યાંના રહેવાસીને ત્યાંથી કાઢવા અલ્લાહના નજીક તેનાથી પણ વધારે મોટું પાપ છે, આ કાર્યનો ગુનો કત્લ કરતા પણ મોટો છે, આ લોકો તમારી સાથે ઝઘડો કરતા જ રહેશે ત્યાં સુધી કે જો તેઓથી થઇ શકે તો તમને તમારા દીનથી ફેરવી નાખે, અને તમારા માંથી જે લોકો પોતાના દીનથી ફરી જાય અને તે જ ઇન્કારી સ્થિતીમાં મૃત્યુ પામે, તેઓના દૂનિયા અને આખેરત (પરલોક) બન્નેના દરેક કાર્યો વ્યર્થ થઇ જશે, આ લોકો જહન્નમી હશે અને હંમેશા હંમેશ જહન્નમમાં જ રહેશે.
જો કે ઇમાનલાવવાવાળા, હિજરત કરવાવાળા, અલ્લાહના માર્ગમાં જેહાદ કરવાવાળા જ અલ્લાહની કૃપાના હકદાર છે, અલ્લાહ તઆલા ઘણો જ માફ કરનાર અને ઘણી જ દયા કરનાર છે.
લોકો તમને શરાબ અને જુગાર વિશે પુછે છે, તમે કહી દો કે આ બન્નેમાં ઘણું જ મોટું પાપ છે, અને લોકોને તેનાથી દૂનિયાનો ફાયદો પણ થાય છે, પરંતુ તેનું પાપ તેઓના ફાયદા કરતા ઘણું જ વધારે છે, તમને પુછે છે કે શું ખર્ચ કરીએ? તો તમે કહી દો કે તમારી જરૂરિયાતથી વધારાની વસ્તુ (ખર્ચ કરો). અલ્લાહ તઆલા આવી જ રીતે પોતાના આદેશો સ્પષ્ટ તમારા માટે બયાન કરી દે છે જેથી તમે વિચારી, સમજી શકો.
દૂનિયા અને આખેરત (પરલોક) ના કાર્યો અને તમને અનાથો વિશે પણ સવાલ કરે છે તમે કહી દો કે તેઓ સાથે લાગણી ઉત્તમ છે, તમે જો તેઓનું ધન પોતાના ધન સાથે મેળવી પણ લો, તો તે તમારા ભાઇ છે, ખરાબ અને સારા ઇરાદાને અલ્લાહ ખુબ સારી રીતે જાણે છે અને જો અલ્લાહ ઇચ્છતો તો તમને કઠણાઇઓમાં નાખી દેત, નિંશંક અલ્લાહ તઆલા વિજયી અને હિકમતવાળો છે.
અને મુશરિક સ્ત્રીઓ સાથે તમે લગ્ન ન કરો જ્યાં સુધી તેણીઓ ઇમાન ન લાવે, ઇમાનવાળી દાસી આઝાદ મુશરિક સ્ત્રી કરતા ઉત્તમ છે, ભલેને તમને મુશરિક સ્ત્રી જ પસંદ કેમ ન હોય અને ન મુશરિક પૂરૂષો સાથે પોતાની સ્ત્રીઓના લગ્ન કરાવો જ્યાં સુધી તેઓ ઇમાન ન લાવે, ઇમાન ધરાવનાર દાસ આઝાદ મુશરિક કરતા ઉત્તમ છે, ભલેને મુશરિક તમને પસંદ હોય, આ લોકો જહન્નમ તરફ બોલાવે છે અને અલ્લાહ જન્નત તરફ, અને પોતાની માફી તરફ, પોતાના આદેશ વડે બોલાવે છે, તે પોતાની આયતો લોકો માટે બયાન કરે છે, જેથી તેઓ શિખામણ પ્રાપ્ત કરે.
તમને માસિક પિરીયડ બાબતે સવાલ કરે છે, કહી દો કે તે ગંદકી છે, માસિક પિરીયડની સ્થિતીમાં સ્ત્રીઓ (સાથે સંભોગ કરવાથી) થી જુદા રહો અને જ્યાં સુધી તેણીઓ પાક ન થઇ જાય તેણીઓની નજીક ન જાઓ, હાઁ જ્યારે તે પાક થઇ જાય તો તેણીઓ પાસે જાઓ જ્યાંથી અલ્લાહએ તમને પરવાનગી આપી છે, અલ્લાહ તઆલા તૌબા કરવાવાળાને અને પાક-સાફ રહેવાવાળાને પસંદ કરે છે.
તમારી પત્નિઓ તમારી ખેતી છે, પોતાની ખેતીઓમાં જેવી રીતે ઇચ્છો આવો અને પોતાના માટે (સદકાર્યો) આગળ મોકલો અને અલ્લાહ તઆલાથી ડરતા રહો અને જાણી લો કે તમે તેને મળવાના છો અને ઇમાનવાળાઓને શુભસુચના સંભળાવી દો.
અને અલ્લાહ તઆલાને પોતાની સોગંદોમાં (આવી રીતે) નિશાન ન બનાવો કે સદાચાર અને પ્રામાણિકતા અને લોકોની વચ્ચે સુધારાને છોડી દો અને અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે.
અલ્લાહ તઆલા તમને તમારી તે સોગંદો વિશે પકડ નહીં કરે જે મજબુત નહી હોય, હાઁ તેની પકડ તે વસ્તુ પર છે જે તમારા હૃદયોનું કાર્ય હોય, અલ્લાહ તઆલા ક્ષમાવાન અને ધૈર્યવાન છે.
જે લોકો પોતાની પત્નિઓ સાથે (મેળાપ ન રાખવા બાબતે) સોગંદો ખાય, તેઓ માટે ચાર મહિનાનો સમયગાળો છે, પછી જો તે પાછા ફરી જાય તો અલ્લાહ તઆલા ક્ષમાવાન અને કૃપાળુ છે.
અને જો તલાક નો ઇરાદો કરી લે તો અલ્લાહ તઆલા સાંભળનાર અને જાણનાર છે.
તલાકવાળી સ્ત્રીઓ પોતાને ત્રણ માસિક પિરીયડ સુધી રોકી રાખે, તેણીઓ માટે હલાલ નથી કે અલ્લાહએ તેણીઓના ગર્ભમાં જે સર્જન કર્યુ છે તેને છુપાવે, જો તેણીઓને અલ્લાહ પર અને કયામતના દિવસ પર ઇમાન હોય, તેણીઓના પતિઓ આ સમયગાળા દરમિયાન તેણીઓને સ્વીકારી લેવાનો પુરે પુરો અધિકાર ધરાવે છે, જો તેઓનો ઇરાદો સુધારાનો હોય અને સ્ત્રીઓના પણ તેવા જ અધિકારો છે જેવા તેણીઓ પર પુરૂષોના છે, ભલાઇ સાથે, હાઁ પુરૂષોને સ્ત્રીઓ પર બઢોતરી છે, અને અલ્લાહ તઆલા વિજયી, હિકમતવાળો છે,
આ તલાક બે વાર છે, પછી ભલાઇ સાથે રોકી રાખવી અથવા ઉત્તમતા સાથે છોડી દેવી છે, અને તમારા માટે હલાલ નથી કે તમે તેણીઓને જે આપી દીધું છે તેમાંથી કંઇ પણ પાછું લઇ લો, હાઁ આ અલગ વસ્તુ છે કે બન્ને માટે અલ્લાહની હદો જાળવી ન રાખવાનો ભય હોય, એટલા માટે જો તમને ભય હોય કે આ બન્ને અલ્લાહની હદો જાળવી નહી રાખી શકે તો સ્ત્રી છુટકારા માટે કંઇક આપી દેં, આમાં બન્ને માટે કોઇ ગુનો નથી, આ અલ્લાહની નક્કી કરેલી સીમાઓ છે, ખબરદાર તેનાથી આગળ ન વધતા, અને જે લોકો અલ્લાહની નક્કી કરેલ સીમાઓનું ઉલ્લંઘન કરે છે તે અત્યાચારી છે.
પછી જો તેણીઓને (ત્રીજી વાર) તલાક આપી દે તો હવે તેના માટે હલાલ નથી, જ્યાં સુધી કે તે સ્ત્રી તેના સિવાય બીજા સાથે લગ્ન ન કરે, પછી જો તે પણ તલાક આપી દે તો ફરી તે બન્નેને સાથે રહેવામાં કોઇ ગુનો નથી, શરત એ છે કે તેઓ જાણી લે કે અલ્લાહ ની નક્કી કરેલ સીમાઓને જાળવી રાખશે, આ અલ્લાહ તઆલાની હદો છે, જેને તે (અલ્લાહ) જાણવાવાળા માટે બયાન કરે છે.
જ્યારે તમે સ્ત્રીઓને તલાક આપો અને તેણીઓ પોતાનો સમયગાળો પુરો કરવાની નજીક હોય તો હવે તેણીઓને સારી રીતે સ્વીકારી લો અથવા તો ભલાઇ સાથે છુટી કરી દો અને તેણીઓને તકલીફ પહોંચાડવાના હેતુથી અત્યાચાર કરવા માટે ન રોકી રાખો, જે વ્યક્તિ આવું કરે તેણે પોતાના જીવ પર અત્યાચાર કર્યો, તમે અલ્લાહના આદેશને ઠઠ્ઠા-મશકરી ન બનાવો અને અલ્લાહના ઉપકાર જે તમારા પર છે તેને યાદ કરો અને જે કંઇ કિતાબ અને હિકમત અવતરિત કરી છે જેનાથી તમને શિખામણ આપી રહ્યો છે તેને પણ (યાદ કરો). અને અલ્લાહ તઆલાથી ડરતા રહો અને જાણી લો કે અલ્લાહ તઆલા દરેક વસ્તુની ખબર રાખે છે.
અને જ્યારે તમે પોતાની પત્નિઓને તલાક આપો અને તે પોતાનો સમયગાળો પુરો કરી લે તો તેણીઓને તેણીઓના પતિઓ સાથે લગ્ન કરવાથી ન રોકો, જ્યારે કે તેઓ શરતોને આધિન રહી રાજી હોય, આ શિખામણ તેઓને કરવામાં આવે છે જેઓને તમારા માંથી અલ્લાહ તઆલા પર અને કયામતના દિવસ પર યકીન અને ઇમાન હોય, આમાં તમારી ઉત્તમ સફાઇ અને પવિત્રતા છે, અલ્લાહ તઆલા જાણે છે અને તમે નથી જાણતા.
માઁ પોતાના સંતાનને પુરા બે વર્ષ દુધ પીવડાવે, જેમનો ઇરાદો દુધ પીવડાવવાનો સમયગાળો પુરો કરવાનો હોય અને જેના સંતાનો છે તેમના પર (તેમના સંતાનોનું) ભરણ-પોષણ છે, જે નક્કી કરેલ કાયદા મુજબ હોય, દરેક વ્યક્તિને તેટલી જ તકલીફ આપવામાં આવે છે જેટલી તેની શક્તિ હોય, માઁ ને તેના બાળકના કારણે અથવા પિતાને તેના બાળકના કારણે કોઇ નુકસાન પહોંચાડવામાં ન આવે, વારસદાર પર પણ આવી જ રીતે ઝિમ્મેદારી છે, પછી જો બન્ને (માતા-પિતા) પોતાની ખુશી અને એકબીજાના સલાહ સુચનથી દુધ છોડાવવા માંગે તો બન્ને પર કોઇ ગુનો નથી, જ્યાં સુધી કે તમે તેઓને કાયદા પ્રમાણે જે આપવું હોય તે તેમને આપી દો, અલ્લાહ તઆલાથી ડરતા રહો અને જાણી લો કે અલ્લાહ તઆલા તમારા કાર્યોની દેખરેખ રાખી રહ્યો છે.
તમારા માંથી કે લોકો મૃત્યુ પામે અને પત્નિઓ છોડી જાય તે સ્ત્રીઓ પોતાને ચાર મહિના અને દસ (દિવસ) સમયગાળામાં રાખે, પછી જ્યારે સમયગાળો પુરો કરી લે તો જે ભલાઇ સાથે તે પોતાના માટે કરે તેમાં તમારા પર કોઇ ગુનો નથી, અને અલ્લાહ તઆલા તમારા દરેક કાર્યને જાણે છે.
તમારા પર આમાં કોઇ ગુનો નથી કે તમે સંકેત આપો લગ્નનો તે સ્ત્રીઓને, અથવા તો પોતાના હૃદયમાં છુપો ઇરાદો કરો, અલ્લાહ તઆલા જાણે છે કે તમે જરૂર તેણીને યાદ કરશો, પરંતુ તમે તેણીઓને છુપા વચનો ન કરી લો, હાઁ આ અલગ વસ્તુ છે કે તમે ભલી વાત કહો, અને લગ્નનું વચન જ્યા સુધી સમયગાળો પુરો ન થઇ જાય, પાકુ ન કરો, જાણી લો કે અલ્લાહ તઆલા ને તમારા હૃદયોની વાતોનું પણ જ્ઞાન છે, તમે તેનાથી ડરતા રહો અને જાણી લો કે અલ્લાહ તઆલા ક્ષમાવાન અને ધૈર્યવાન છે.
જો તમે પત્નિઓને હાથ લગાવ્યા વગર અને મહેર નક્કી કર્યા વગર તલાક આપી દો તો પણ તમારા પર કોઇ ગુનો નથી, હાઁ તેણીઓને કંઇક આપી દો, સુખી પોતાના અંદાજથી, ગરીબ પોતાની તાકાત પ્રમાણે, કાયદા મુજબ સારૂં વળતર આપે, ભલાઇ કરવાવાળા પર આ જરૂરી છે.
અને જો તમે પત્નિઓને તે પહેલા તલાક આપી દો કે તમે તેણીઓને હાથ લગાવ્યો હોય અને તમે તેણીઓનું મહેર પણ નક્કી કરી દીધું હોય, તો નક્કી કરેલ મહેરનો અડધો ભાગ આપી દો, તે અલગ વાત છે તેણી પોતે માફ કરી દેં, અથવા તો તે વ્યક્તિ માફ કરી દે જેના હાથમાં લગ્નની જવાબદારી છે, તમારૂ માફ કરી દેવું (અલ્લાહથી) ડરવા બાબતે ખુબ જ નજીક છે, અને એકબીજાની મહત્વતા અને ગૌરવને ભુલો નહી, નિંશંક અલ્લાહ તઆલા તમારા કાર્યોને જોઇ રહ્યો છે.
નમાઝોની પાબંદી કરો, ખાસ કરીને વચ્ચેની નમાઝની અને અલ્લાહ તઆલા માટે અદબ સાથે ઉભા રહો.
જો તમને ભય હોય તો ચાલતા જ અથવા સવારી પર, હાઁ જ્યારે શાંતિ થઇ જાય તો અલ્લાહના નામનું સ્મરણ કરો, જેવી રીતે કે તેણે તમને આ વાતની શીક્ષા આપી જેને તમે નહતા જાણતા.
જે લોકો તમારા માંથી મૃત્યુ પામે અને પત્નિઓ છોડી જાય, તે વસિય્યત કરે કે તેઓની પત્નિઓ એક વર્ષ સુધી ફાયદો ઉઠાવે, તેણીઓને કોઇ ન કાઢે, હાઁ તે પોતે નીકળી જાય તો તમારા પર તેમાં કોઇ ગુનો નથી, જે તે પોતાના માટે સારી રીતે કરે, અલ્લાહ તઆલા વિજયી, હિકમતવાળો છે.
તલાકવાળીઓને સારી રીતે વળતર આપવું ડરવાવાળાઓ પર જરૂરી છે.
અલ્લાહ તઆલા આવી જ રીતે પોતાની આયતોને બયાન કરી રહ્યો છે, જેથી તમે સમજી શકો.
શું તમે તેઓને નથી જોયા જે હજારોની સંખ્યામાં હતા અને મૃત્યુના ભયથી પોતાના ઘરો માંથી નીકળી ગયા હતા, અલ્લાહ તઆલાએ તેઓને કહ્યું મરી જાવ, પછી તેઓને જીવિત કરી દીધા, નિંશંક અલ્લાહ તઆલા લોકો પર ઘણો જ કૃપાળુ છે, પરંતુ વધુ લોકો કૃતધ્ન છે.
અલ્લાહ ના માર્ગમાં જેહાદ કરો અને જાણી લો કે અલ્લાહ તઆલા સાંભળે અને જાણે છે.
એવા પણ કોઇ છે જે અલ્લાહ તઆલાને સારૂં ઉધાર આપે, બસ ! અલ્લાહ તઆલા તેને ઘણુ જ વધારીને પરત કરે છે, અલ્લાહ જ તંગી અને વિસ્તૃતિ આપનાર છે, અને તમે સૌ તેની જ તરફ પાછા ફેરવવામાં આવશો.
શું તમે મૂસા (અ.સ.) પછી ઇસ્રાઇલના સંતાનોના જૂથને નથી જોયા, જ્યારે કે તેઓએ પોતાના પયગંબરને કહ્યું કે કોઇને અમારો સરદાર બનાવી દો, જેથી અમે અલ્લાહના માર્ગમાં જેહાદ કરીએ, પયગંબરે કહ્યું કે શક્ય છે કે જેહાદ જરૂરી કર્યા પછી તમે જેહાદ ના કરો, તેઓએ કહ્યું અમે અલ્લાહના માર્ગમાં જેહાદ કેમ નહી કરીએ ? અમને તો અમારા ઘરો માંથી કાઢી મુકવામાં આવ્યા છે અને સંતાનોથી દૂર કરી દેવામાં આવ્યા છે, પછી જ્યારે તેઓ પર જેહાદ જરૂરી કરવામાં આવ્યું તો થોડા લોકો સિવાય બધા ફરી ગયા અને અલ્લાહ તઆલા અત્યાચારીઓને ખુબ સારી રીતે જાણે છે.
અને તેઓને તેમના પયગંબરે કહ્યું કે અલ્લાહ તઆલાએ તાલૂતને તમારો સરદાર બનાવી દીધો છે, તો કહેવા લાગ્યા, તેની સરદારી અમારા પર કેવી રીતે હોઇ શકે ? તેનાથી વધારે સરદારીનો અધિકાર તો અમને છે, તેને તો ધન પણ આપવામાં નથી આવ્યું, પયગંબરે કહ્યું સાંભળ ! અલ્લાહ તઆલાએ આને જ તમારા પર નક્કી કર્યો છે અને તેને જ્ઞાન અને તાકાત પણ આપવામાં આવી છે, વાત એ છે કે અલ્લાહ જેને ઇચ્છે પોતાનું રાજ્ય આપે, અલ્લાહ તઆલા સર્વગ્રાહી, જ્ઞાની છે.
તેઓના પયગંબરે તેઓને ફરી કહ્યું કે તેની સરદારીની ખુલ્લી નિશાની એ છે કે તમારી પાસે તે પેટી આવી જશે જેમાં તમારા પાલનહાર તરફથી શાંતિ હશે અને મૂસા અને હારૂનના સંતાનોનો છોડેલો વારસો છે, ફરિશ્તાઓ તેને ઉઠાવી લાવશે, નિંશંક આ તો તમારા માટે ખુલ્લા પુરાવા છે જો તમે ઇમાનવાળા છો.
જ્યારે તાલૂત લશ્કરને લઇ નીકળ્યો તો કહ્યું સાંભળો ! અલ્લાહ તઆલા તમારી કસોટી એક નહેર વડે કરશે, જે તેમાંથી પાણી પી લેશે તે મારો નથી અને જે તેને ન પીવે તે મારો છે, હાઁ તે અલગ વાત છે કે પોતાના હાથ વડે એક ખોબો ભરી લે, પરંતુ થોડાક લોકો સિવાય સૌએ તે પાણી પી લીધું, તાલૂત ઇમાનવાળાઓ સાથે જ્યારે નહેરથી પસાર થઇ ગયા તો તે લોકો કહેવા લાગ્યા કે અમારામાં તાકાત નથી કે જાલૂત અને તેના લશ્કરો સાથે લડાઇ કરીએ, પરંતુ અલ્લાહ તઆલાની મુલાકાત પર ભરોસો રાખનારાઓએ કહ્યું કે કેટલીક વખતે નાનું અને ઓછું જૂથ મોટા અને વધારે જૂથ પર અલ્લાહના આદેશથી વિજય પ્રાપ્ત કરી લે છે, અલ્લાહ તઆલા ઘીરજ રાખનારાઓની સાથે છે.
જ્યારે તેઓની જાલૂત અને તેના લશ્કરો સાથે લડાઇ થઇ તો તેઓએ દુઆ કરી કે હે પાલનહાર ! અમને ધીરજ આપ, અડગ રાખ અને ઇન્કારીઓ પર અમારી મદદ કર.
અલ્લાહના આદેશથી તેઓએ જાલૂતીઓને હાર આપી અને દાઉદ (અ.સ.) ના હાથ વડે જાલૂત કત્લ થયો અને અલ્લાહ તઆલાએ દાઉદ (અ.સ.) ને સરદારી અને હિકમત અને જેટલી પણ ઇચ્છા કરી, જ્ઞાન આપ્યું. જો અલ્લાહ તઆલા કેટલાક લોકોને કેટલાક લોકો વડે બચાવ ન કરતો તો ધરતી પર વિદ્રોહ ફેલાઇ જાત, પરંતુ અલ્લાહ તઆલા દૂનિયાવાળાઓ પર કૃપા કરનાર છે.
આ અલ્લાહ તઆલાની આયતો છે જેને અમે સાચી રીતે તમારી સમક્ષ પઢીએ છીએ, નિંશંક તમે પયગંબરો માંથી છો.
આ પયગંબરો છે, જેમના માંથી અમે કેટલાકને કેટલાક પર મહાનતા આપી છે, તેઓ માંથી કેટલાક સાથે અલ્લાહએ વાત કરી છે અને કેટલાકના દરજ્જા વધારી દીધા છે અને અમે ઇસા બિન મરયમને મુઅઝિઝહ (ચમત્કાર) આપ્યા અને રૂહુલ્ કુદૂસ વડે તેમની મદદ કરી, જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો ત્યારબાદ આવનારા પોતાની પાસે પુરાવા આવી ગયા છતાં કદાપિ અંદર અંદર ન ઝઘડતા, પરંતુ તે લોકોએ મતભેદ કર્યો, તેઓ માંથી કેટલાક તો ઇમાન લાવ્યા અને કેટલાક ઇન્કારીઓ થયા અને જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો આ લોકો અંદર અંદર ન ઝગડતા, પરંતુ અલ્લાહ તઆલા જે ઇચ્છે છે તે કરે છે.
હે ઇમાનવાળાઓ ! જે અમે તમને આપી રાખ્યું છે તેમાંથી દાન કરતા રહો, આ પહેલા કે તે દિવસ આવી જાય જેમાં ન વેપાર છે ન મિત્રતા અને ન ભલામણ, અને ઇન્કારીઓ જ અત્યાચારી છે.
અલ્લાહ તઆલા જ સાચો પુજ્ય છે, જેના સિવાય કોઇ પુજવાને લાયક નથી, જે જીવિત અને સૌને સંભાળી રાખનાર છે, જેને ન ઉંઘ આવે છે ન નિંદ્રા, તેની માલીકી હેઠળ ધરતી અને આકાશની દરેક વસ્તુ છે, કોણ છે જે તેની પરવાનગી વગર તેની સામે ભલામણ કરી શકે, તે જાણે છે જે તેઓની સામે છે અને જે તેઓની પાછળ છે અને તેઓ તેના જ્ઞાન માંથી કોઇ વસ્તુનો ઘેરાવ નથી કરી શકતા પરંતુ જેટલું તે ઇચ્છે, તેની કુરસીની ચોડાઇએ ધરતી અને આકાશને ઘેરી રાખ્યા છે અને અલ્લાહ તઆલા તેની દેખરેખથી ન થાકે છે અને ન તો કંટાળે છે. તે તો ઘણો જ મહાન અને ઘણો જ મોટો છે.
દીન બાબતે કોઇ બળજબરી નથી, સત્યમાર્ગ અસત્યનામાર્ગથી ચોખ્ખો થઇ ગયો છે, એટલા માટે જે વ્યક્તિ અલ્લાહ તઆલા સિવાય બીજા પુજ્યોનો ઇન્કાર કરી અલ્લાહ તઆલા પર ઇમાન લાવે તેણે મજબુત કડાને પકડી લીધો, જે ક્યારેય નહી તુટે અને અલ્લાહ તઆલા સાંભળનાર અને જાણનાર છે.
ઇમાન લાવવાવાળાઓનો દોસ્ત અલ્લાહ તઆલા પોતે છે, તે તેઓને અંધકાર માંથી પ્રકાશ તરફ લાવે છે અને ઇન્કારીઓના દોસ્તો શેતાનો છે, તે તેઓને પ્રકાશ માંથી અંધકાર તરફ લઇ જાય છે, આ લોકો જહન્નમી છે, જે હંમેશા તેમાંજ પડયા રહેશે.
શું તમે તેને નથી જોયો જે સામ્રાજ્ય પામી ઇબ્રાહીમ (અ.સ.) સાથે તેના પાલનહાર વિશે ઝગડો કરી રહ્યો હતો, જ્યારે ઇબ્રાહીમ (અ.સ.) કહ્યું કે મારો પાલનહાર તો તે છે જે જીવિત કરે છે અને મૃત્યુ આપે છે, તે કહેવા લાગ્યો કે હું પણ જીવિત કરૂં છું અને મૃત્યુ આપુ છું, ઇબ્રાહીમ (અ.સ.)એ કહ્યું અલ્લાહ તઆલા સૂર્યને પૂર્વ દિશા માંથી કાઢે છે તું તેને પશ્ર્ચિમ દિશા માંથી કાઢી બતાવ, હવે તો તે ઇન્કારી અચંબામાં પડી ગયો અને અલ્લાહ તઆલા અત્યાચારીઓને માર્ગદર્શન નથી આપતો.
અથવા તો તે વ્યક્તિ માફક જે તે વસ્તી માંથી પસાર થયો જે છત પર ઉંધી પડી હતી, તે કહેવા લાગ્યો તેના મૃત્યુ પછી અલ્લાહ તઆલા તેને કેવી રીતે જીવિત કરશે ? તો અલ્લાહ તઆલાએ તેને સો વર્ષ સુધી મૃત્યુ આપ્યું, પછી તેને જીવિત કરી પુછયું, કેટલો સમયગાળો તારા પર પસાર થયો ? કહેવા લાગ્યો એક દિવસ અથવા તો દિવસ નો થોડોક ભાગ, ફરમાવ્યું પરંતુ તું સો વર્ષ સુધી પડી રહ્યો, પછી હવે તું તારા ભોજન સામગ્રીને જો, જે થોડુંક પણ ખરાબ નથી થયું અને પોતાના ગધેડાને પણ જો, અમે તને લોકો માટે એક નિશાની બનાવીએ છીએ, તું જો કે હાડકાઓને કેવી રીતે ઉઠાવીએ છીએ, પછી તેના પર માંસ ચઢાવીએ છીએ, જ્યારે આ બધું ચોખ્ખું થઇ ગયું તો કહેવા લાગ્યો હું જાણું છું કે અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.
અને જ્યારે ઇબ્રાહીમ (અ.સ.) એ કહ્યું કે હે મારા પાલનહાર ! મને બતાવ તું મૃતકોને કેવી રીતે જીવિત કરીશ ? (અલ્લાહ તઆલાએ) કહ્યું શું તને ઇમાન નથી ? જવાબ આપ્યો ઇમાન તો છે પરંતુ મારૂ હૃદય સંતુષ્ટ થઇ જાય, ફરમાવ્યું ચાર પંખીઓ લઇ લો, તેઓના ટુકડા કરી નાખો, પછી દરેક પર્વત પર તેનો એક એક ટુકડો મુકી દો, પછી તેને પોકારો, તમારી પાસે દોડીને આવી જશે અને જાણી લો કે અલ્લાહ તઆલા વિજયી, હિકમતોવાળો છે.
જે લોકો પોતાનું ધન અલ્લાહ તઆલાના માર્ગમાં ખર્ચ કરે છે તેનું ઉદાહરણ તે દાણા જેવું છે જેમાંથી સાત ડાળખીઓ નીકળે અને દરેક ડાળખીમાં સો દાણા હોય અને અલ્લાહ તઆલા જેને ઇચ્છે વધારીને આપે અને અલ્લાહ તઆલા સર્વગ્રાહી અને જ્ઞાનવાળો છે.
જે લોકો પોતાનું ધન અલ્લાહ તઆલાના માર્ગમાં ખર્ચ કરે છે ત્યાર પછી ન તો ઉપકાર દર્શાવે છે અને ન તો તકલીફ આપે છે, તેઓનું ફળ તેમના પાલનહાર પાસે છે, તેઓ પર ન તો ભય હશે અને ન તો તે નિરાશ થશે.
નમ્રતાથી વાત કરવી અને માફ કરી દેવા તે એવા દાનથી ઉત્તમ છે જેના પછી તકલીફ આપવામાં આવે અને અલ્લાહ તઆલા બેનિયાઝ (નિરપેક્ષ), ધૈર્યવાન છે.
હે ઇમાનવાળાઓ ! પોતાના દાનને ઉપકાર દર્શાવી અને તકલીફ પહોંચાડી બરબાદ ન કરો, જેવી રીતે તે વ્યક્તિ પોતાનું ધન લોકોના દેખાડા માટે ખર્ચ કરે અને ન અલ્લાહ તઆલા પર ઇમાન ધરાવે ન કયામત પર, તેનું ઉદાહરણ તે સાફ પત્થર જેવું છે જેના પર થોડીક માટી હોય પછી તેના પર પુષ્કળ વરસાદ પડે અને તે તેને અત્યંત સાફ અને સખત છોડી દે, તે દેખાડો કરનારને પોતાની કમાણી માંથી કંઇ પણ હાથ નથી આવતું અને અલ્લાહ તઆલા ઇન્કારીઓની કૌમને માર્ગ નથી બતાવતો.
તે લોકોનું ઉદાહરણ જે પોતાનું ધન અલ્લાહ તઆલાની ખુશી ઇચ્છતા, હૃદયની ખુશી અને વિશ્ર્વાસ સાથે ખર્ચ કરે છે તે બગીચા જેવી છે જે ઉંચાઇ પર હોય અને પુષ્કળ વરસાદ તેના પર પડે અને તે પોતાનું ફળ બમણું આપે અને જો તેના પર વરસાદ ન પણ પડે તો ફુવારો જ પુરતો છે અને અલ્લાહ તમારા કાર્યોને જોઇ રહ્યો છે.
શું તમારા માંથી કોઇ પણ એવું ઇચ્છે છે કે તેનો ખજુરી અને દ્રાક્ષનો બગીચો હોય, જેમાં નહેરો વહી રહી હોય અને દરેક પ્રકારના ફળો હોય, તે વ્યક્તિનું ઘડપણ આવી ગયું હોય, તેના નાના નાના બાળકો પણ હોય અને અચાનક બગીચાને લૂંનો વંટોળ લાગી જાય જેમાં આગ પણ હોય, બસ ! તે બગીચો બળી જાય, આવી જ રીતે અલ્લાહ તઆલા તમારા માટે આયતો બયાન કરે છે જેથી તમે ચિંતન-મનન કરો.
હે ઇમાનવાળાઓ ! પોતાની પવિત્ર કમાણી અને ધરતી માંથી તમારા માટે અમારી કાઢેલી વસ્તુઓ ખર્ચ કરો, તેમાંથી ખરાબ વસ્તુઓને ખર્ચ કરવાનો ઇરાદો ન કરશો, જેને તમે પોતે જ લેવાના નથી, હાઁ આંખો બંધ કરી લો તો. અને જાણી લો કે અલ્લાહ તઆલા બેનિયાઝ (નિરપેક્ષ) અને ગુણવાન છે.
શેતાન તમને લાચારીથી બીવડાવે છે અને નિર્લજતાનો આદેશ આપે છે અને અલ્લાહ તઆલા તમારાથી પોતાની માફી અને કૃપાનું વચન આપે છે. અલ્લાહ તઆલા સર્વગ્રાહી અને જ્ઞાનવાળો છે.
તે જેને ઇચ્છે હિકમત અને બુધ્ધી આપે છે અને જે વ્યક્તિને હિકમત અને બુધ્ધી આપવામાં આવે તેને ઘણી જ મોટી ભલાઇ આપવામાં આવી અને શિખામણ ફકત બુધ્ધીશાળી જ પ્રાપ્ત કરે છે.
તમે જેટલું પણ ખર્ચ કરો, એટલે કે દાન અને જે કંઇ નઝર માનો, તેને અલ્લાહ તઆલા ખુબ જ સારી રીતે જાણે છે અને અત્યાચારીઓની મદદ કરનાર કોઇ નથી.
જો તમે દાનને જાહેર કરો તો પણ સારૂ છે અને જો તમે તેને છુપી રીતે લાચારોને આપી દો તો આ તમારા માટે ઉત્તમ છે, અલ્લાહ તઆલા તમારા પાપોને ખતમ કરી દેશે અને અલ્લાહ તઆલા તમારા દરેક કાર્યોની ખબર રાખનાર છે.
તેઓને સત્યમાર્ગ પર લાવવા તમારા શિરે નથી, પરંતુ સત્યમાર્ગ અલ્લાહ તઆલા બતાવે છે, જેને ઇચ્છે છે. અને તમે જે સારી વસ્તુ અલ્લાહના માર્ગમાં આપશો તેનો ફાયદો પોતે જ પામશો, તમારે ફકત અલ્લાહ તઆલાની ખુશી માટે જ ખર્ચ કરવું જોઇએ, તમે જે કંઇ પણ ધન ખર્ચ કરશો તેનો પુરે પુરો બદલો તમને આપવામાં આવશે અને તમારો અધિકાર મારવામાં નહી આવે.
દાનનો અધિકાર ફકત ગરીબ લોકોનો છે, જે અલ્લાહના માર્ગમાં રોકી દેવામાં આવ્યા, જે શહેરમાં હરી ફરી નથી શકતા, અણસમજું લોકો તેઓના સવાલ ન કરવાના કારણે તેઓને ધનવાન સમજે છે તમે તેઓના મુખો જોઇને તેમને કપાળોથી ઓળખી લેશો તેઓ લોકોને સામેથી સવાલ નથી કરતા, તમે જે કંઇ ધન ખર્ચ કરો તો અલ્લાહ તઆલા તેને જાણનાર છે.
જે લોકો પોતાના ધનને રાત-દિવસ છુપું- ખુલ્લુ ખર્ચ કરે છે, તેઓ માટે તેમના પાલનહાર પાસે ફળ છે અને ન તો તેઓને ભય છે ન નિરાશા.
વ્યાજખોરો તેવા માણસની જેમ ઉઠશે કે જેને શેતાને પોતાના સ્પર્શથી ધૂની બનાવી દીધો હોય, આ એટલા માટે કે આ લોકો કહેતા હતા કે વેપાર પણ વ્યાજની માફક જ છે, પરંતુ અલ્લાહ તઆલાએ વેપારને હલાલ અને વ્યાજને હરામ કર્યુ, જે વ્યક્તિ પોતાની પાસે આવેલી અલ્લાહ તઆલાની શિખામણ સાંભળી રોકાઇ ગયો, તેના માટે તે છે જે પસાર થઇ ગઇ અને તેનું પરિણામ અલ્લાહ પાસે જ છે, અને જે ફરી બીજીવાર (હરામ માલ તરફ) ફર્યો તે જહન્નમી છે, આવા લોકો હંમેશા તેમાં રહેશે.
અલ્લાહ તઆલા વ્યાજ ને ખતમ કરે છે અને દાનને વધારે છે અને અલ્લાહ તઆલા કોઇ કૃતધ્ન અને પાપીથી મોહબ્બત નથી કરતો.
નિંશંક જે લોકો ઇમાન લાવ્યા અને સદકાર્યો કર્યા નમાજોની પાબંદી કરે છે અને ઝકાત આપે છે તેઓનું ફળ તેમના પાલનહાર પાસે છે, તેઓ પર ન કોઇ ભય છે અને ન નિરાશા.
હે ઇમાનવાળાઓ ! અલ્લાહથી ડરતા રહો અને જે વ્યાજ બાકી રહી ગયું છે તેને છોડી દો, જો તમે સાચે જ ઇમાનવાળા છો.
અને જો આવું નથી કરતા તો અલ્લાહ તઆલા અને તેના પયગંબર સામે લડવા માટે તૈયાર થઇ જાઓ, હાઁ જો તમે તૌબા કરી લો તો તમારો ખરો માલ તમારો જ છે, ન તમે અત્યાચાર કરો ન તમારા પર અત્યાચાર કરવામાં આવશે.
અને જો કોઇ સંકટમાં હોય તો તેને સરળતા સુધી મોહલત આપવી જોઇએ, અને દાન કરો તો તમારા માટે ઘણું જ ઉત્તમ છે જો તમે જાણતા હોવ.
અને તે દિવસથી ડરો જે દિવસે તમે સૌ અલ્લાહ તરફ પાછા ફેરવવામાં આવશો, અને દરેક વ્યક્તિને તેના કાર્યોનું પુરેપુરૂ ફળ આપવામાં આવશે, અને તેમના પર અત્યાચાર કરવામાં નહી આવે.
હે ઇમાનવાળાઓ ! જ્યારે તમે અંદર અંદર એકબીજાને નક્કી કરેલ સમય સુધી ઉધારીની આપ-લે કરો તો તેને લખી લો, અને લખવાવાળા તમારો અંદર અંદરનો વ્યવહાર ન્યાય સાથે લખે, લખવાવાળાએ ઇન્કાર ન કરવો જોઇએ, જેવું કે અલ્લાહ તઆલાએ તેને શિખવાડ્યું છે, બસ ! તેણે પણ લખી લેવું જોઇએ અને જેના પર અધિકાર હોય તે લખાવી લે, અને પોતાના અલ્લાહથી ડરે જે તેનો પાલનહાર છે, અને લખાણમાં કંઇ ઘટાડો ન કરે, હાઁ જેનો અધિકાર છે તે જો અણસમજું હોય અથવા અશકત હોય અથવા લખવા માટેની શક્તિ ન ધરાવતો હોય તો તેનો જવાબદાર વ્યક્તિ ન્યાય સાથે લખાવી દે અને પોતાના માંથી બે પુરૂષો સાક્ષી બનાવી લો, જો બે પુરૂષો ન હોય તો એક પુરૂષ અને બે સ્ત્રીઓ જેમને તમે સાક્ષી માટે પસંદ કરી લો, જેથી એક ની ભુલને બીજી યાદ અપાવી દે અને સાક્ષીઓને જ્યારે બોલાવવામાં આવે તો ઇન્કાર ન કરે, અને ઉધાર જેનો સમયગાળો નક્કી છે ભલે ને નાનો અથવા મોટો લખવામાં સુસ્તી ન કરો, અલ્લાહ તઆલા પાસે આ વાત ઘણી જ ન્યાયવાળી છે અને સાક્ષીઓને પણ સત્ય રાખનારી અને શંકાથી બચાવનારી છે. હાઁ તે અલગ વાત છે કે તે વ્યવહાર રોકડ હોય જે અંદર અંદર આપ-લે કરી રહ્યા હોય તો તેમાં ન લખવામાં તમારા માટે કોઇ ગુનો નથી, લે-વેચ વખતે પણ સાક્ષીઓ નક્કી કરી લો, અને (યાદ રાખો કે) ન તો લખવાવાળાને તકલીફ આપવામાં આવે ન સાક્ષીઓને, અને જો તમે આવું કરો તો આ તમારી ખુલ્લી અવજ્ઞા છે, અલ્લાહ તઆલાથી ડરો, અલ્લાહ તમને શિખવાડી રહ્યો છે અને અલ્લાહ તઆલા દરેક વસ્તુને ખુબ સારી રીતે જાણનાર છે.
અને જો તમે સફરમાં હોય અને લખનાર ન મળે તો ગીરવી રાખી લો, હાઁ જો અંદર અંદર એક બીજાથી સંતોષ હોય તો જેને અમાનત આપવામાં આવી છે તે તેને આપી દે, અને અલ્લાહ તઆલાથી ડરો જે તેનો પાલનહાર છે અને સાક્ષી ન છુપાવો અને જે તેને છુપાવી લે તે પાપી હૃદયવાળા છે અને જે કંઇ પણ તમે કરો છો તેને અલ્લાહ તઆલા ખુબ સારી રીતે જાણે છે.
આકાશો અને ધરતીની દરેક વસ્તુ અલ્લાહની માલિકી હેઠળ જ છે, તમારા હૃદયોમાં જે કંઇ પણ છે તેને તમે જાહેર કરો અથવા તો છુપાવો અલ્લાહ તઆલા તેનો હિસાબ તમારી પાસેથી લેશે, પછી જેને ઇચ્છે તેને માફ કરી દે અને જેને ઇચ્છે યાતના આપે, અને અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.
પયગંબર ઇમાન લાવ્યા તે વસ્તુ પર જે તેમની તરફ અલ્લાહ તઆલાએ અવતરિત કર્યુ અને ઇમાનવાળાઓ પણ. આ સૌ અલ્લાહ તઆલા, અને તેના ફરિશ્તાઓ પર અને તેની કિતાબો પર અને તેના પયગંબરો પર ઇમાન લાવ્યા, તેના પયંગબરો માંથી કોઇ વચ્ચે તફાવત નથી કરતા, તેઓએ કહી દીધું કે અમે સાંભળ્યું અને આજ્ઞાનું પાલન કર્યું, અમે તારી માફી ઇચ્છીએ છીએ, હે અમારા પાલનહાર ! અને અમને તારી જ તરફ પાછા ફરવાનું છે.
અલ્લાહ તઆલા કોઇ જીવને તેની શક્તિ કરતા વધારે તકલીફ નથી આપતો, જે સદકાર્ય તે કરે તે તેના માટે અને જે બુરાઇ તે કરે તે તેના પર છે, હે અમારા પાલનહાર ! જો અમે ભુલી ગયા હોય અથવા ભુલ કરી હોય તો અમારી પકડ ન કરીશ, હે અમારા પાલનહાર ! અમારા પર તે ભાર ન નાખ, જે અમારા પહેલાના લોકો પર નાખ્યો હતો, હે અમારા પાલનહાર ! અમારા પર તે ભાર ન નાખ, જેની અમારામાં શક્તિ નથી અને અમને છોડી દે અને માફ કરી દે, અને અમારા પર દયા કર, તું જ અમારો માલિક છે, અમને ઇન્કારીઓની કૌમ પર વિજય આપ.
سورة البقرة
معلومات السورة
الكتب
الفتاوى
الأقوال
التفسيرات

سورةُ (البقرةِ) هي أطولُ سورةٍ في القرآنِ العظيم، وفيها أطولُ آيةٍ؛ وهي آيةُ (الدَّين)، وكذلك فيها أعظمُ آيةٍ؛ وهي آيةُ (الكُرْسيِّ)، وإنما جاءت كذلك - لا سيَّما وهي ثاني سورةٍ في القرآن الكريم -؛ لأنها أبانت عن مقصدِ القرآن الأعظم، وفصَّلتْ في أحكامِ الدِّينِ وشرائعه ومعاملاته؛ فافتُتحت ببيانِ مقصدِ هذا الكتاب العظيم؛ وهو {هُدٗى لِّلْمُتَّقِينَ}؛ فهذا الكتابُ إنما نزَل للهداية والإرشاد. ثم أوضَحتِ السُّورةُ ردودَ أفعال الناس تُجاهَ هذا الكتاب، مقسِّمةً إياهم إلى (مؤمن، وكافر، ومنافق)، كما فصَّلتِ الكثيرَ من الشرائع المتعلقة بالصَّدَقات، والطلاق، والمعاملات. ولهذه السُّورةِ فضلٌ عظيم؛ فلا يستطيعها السَّحَرةُ والبَطَلة، كما قُدِّمَ حافظُها على غيره، وكانت تُعطَى له القيادةُ والرياسة؛ لعظيم شأنها، ولِما اشتملت عليه من أحكامٍ. وفيها قصةُ (بقرةِ بني إسرائيل) التي سُمِّيتِ السورة باسمها.

ترتيبها المصحفي
2
نوعها
مدنية
ألفاظها
6140
ترتيب نزولها
87
العد المدني الأول
285
العد المدني الأخير
285
العد البصري
287
العد الكوفي
286
العد الشامي
285

* قوله تعالى: ﴿فَوَيْلٞ لِّلَّذِينَ يَكْتُبُونَ اْلْكِتَٰبَ بِأَيْدِيهِمْ ثُمَّ يَقُولُونَ هَٰذَا مِنْ عِندِ اْللَّهِ لِيَشْتَرُواْ بِهِۦ ثَمَنٗا قَلِيلٗاۖ فَوَيْلٞ لَّهُم مِّمَّا كَتَبَتْ أَيْدِيهِمْ وَوَيْلٞ لَّهُم مِّمَّا يَكْسِبُونَ﴾ [البقرة: 79]:

عن ابنِ عباسٍ رضي الله عنهما: {فَوَيْلٞ لِّلَّذِينَ يَكْتُبُونَ اْلْكِتَٰبَ بِأَيْدِيهِمْ}، قال: «نزَلتْ في أهلِ الكتابِ». "خلق أفعال العباد" (ص 54).

* قوله تعالى: ﴿وَلَمَّا جَآءَهُمْ كِتَٰبٞ مِّنْ عِندِ اْللَّهِ مُصَدِّقٞ لِّمَا مَعَهُمْ وَكَانُواْ مِن قَبْلُ يَسْتَفْتِحُونَ عَلَى اْلَّذِينَ كَفَرُواْ﴾ [البقرة: 89]:

عن عاصمِ بن عُمَرَ بن قتادةَ، عن رجالٍ مِن قومِه، قالوا: «إنَّ ممَّا دعانا إلى الإسلامِ  مع رحمةِ اللهِ تعالى وهُدَاه لنا: لَمَا كنَّا نَسمَعُ مِن رجالِ يهُودَ، وكنَّا أهلَ شِرْكٍ أصحابَ أوثانٍ، وكانوا أهلَ كتابٍ، عندهم عِلْمٌ ليس لنا، وكانت لا تزالُ بيننا وبينهم شرورٌ، فإذا نِلْنا منهم بعضَ ما يَكرَهون، قالوا لنا: إنَّه قد تقارَبَ زمانُ نبيٍّ يُبعَثُ الآنَ، نقتُلُكم معه قَتْلَ عادٍ وإِرَمَ، فكنَّا كثيرًا ما نَسمَعُ ذلك منهم، فلمَّا بعَثَ اللهُ رسولَه ﷺ، أجَبْناه حين دعانا إلى اللهِ تعالى، وعرَفْنا ما كانوا يَتوعَّدوننا به، فبادَرْناهم إليه، فآمَنَّا به، وكفَروا به؛ ففينا وفيهم نزَلَ هؤلاء الآياتُ مِن البقرةِ: ﴿وَلَمَّا جَآءَهُمْ كِتَٰبٞ مِّنْ عِندِ اْللَّهِ مُصَدِّقٞ لِّمَا مَعَهُمْ وَكَانُواْ مِن قَبْلُ يَسْتَفْتِحُونَ عَلَى اْلَّذِينَ كَفَرُواْ فَلَمَّا جَآءَهُم مَّا عَرَفُواْ كَفَرُواْ بِهِۦۚ فَلَعْنَةُ اْللَّهِ عَلَى اْلْكَٰفِرِينَ﴾ [البقرة: 89]». سيرة ابن هشام (1/213).

* قوله تعالى: ﴿مَن ‌كَانَ ‌عَدُوّٗا ‌لِّلَّهِ وَمَلَٰٓئِكَتِهِۦ وَرُسُلِهِۦ وَجِبْرِيلَ وَمِيكَىٰلَ فَإِنَّ اْللَّهَ عَدُوّٞ لِّلْكَٰفِرِينَ﴾ [البقرة: 98]:

عن عبدِ اللهِ بن عباسٍ رضي الله عنهما، قال: «أقبَلتْ يهُودُ إلى النبيِّ ﷺ، فقالوا: يا أبا القاسمِ، نسألُك عن أشياءَ، فإن أجَبْتَنا فيها اتَّبَعْناك، وصدَّقْناك، وآمَنَّا بك.

قال: فأخَذَ عليهم ما أخَذَ إسرائيلُ على بَنِيهِ إذ قالوا: ﴿اْللَّهُ ‌عَلَىٰ ‌مَا نَقُولُ وَكِيلٞ﴾ [يوسف: 66].

قالوا: أخبِرْنا عن علامةِ النبيِّ ﷺ، قال: «تنامُ عيناه، ولا ينامُ قلبُه».

قالوا: أخبِرْنا كيف تُؤنِثُ المرأةُ، وكيف تُذكِرُ؟ قال: «يلتقي الماءانِ؛ فإذا علا ماءُ المرأةِ ماءَ الرَّجُلِ آنثَتْ، وإذا علا ماءُ الرَّجُلِ ماءَ المرأةِ أذكَرتْ»، قالوا: صدَقْتَ.

قالوا: فأخبِرْنا عن الرَّعْدِ؛ ما هو؟ قال: «مَلَكٌ مِن الملائكةِ موكَّلٌ بالسَّحابِ، معه مَخاريقُ مِن نارٍ، يسُوقُ بها السَّحابَ حيث شاء اللهُ»، قالوا: فما هذا الصوتُ الذي يُسمَعُ؟ قال: «زَجْرُه بالسَّحابِ إذا زجَرَه، حتى ينتهيَ إلى حيث أُمِرَ»، قالوا: صدَقْتَ.

قالوا: أخبِرْنا ما حرَّم إسرائيلُ على نفسِه؟ قال: «كان يسكُنُ البَدْوَ، فاشتكى عِرْقَ النَّسَا، فلم يَجِدْ شيئًا يلاوِمُه إلا لحومَ الإبلِ وألبانَها؛ فلذلك حرَّمها»، قالوا: صدَقْتَ.

قالوا: أخبِرْنا مَن الذي يأتيك مِن الملائكةِ؛ فإنَّه ليس مِن نبيٍّ إلا يأتيه مَلَكٌ مِن الملائكةِ مِن عندِ ربِّهِ بالرسالةِ وبالوحيِ، فمَن صاحبُك؛ فإنَّما بَقِيَتْ هذه حتى نُتابِعَك؟ قال: «هو جِبْريلُ»، قالوا: ذلك الذي يَنزِلُ بالحربِ وبالقتلِ، ذاك عدوُّنا مِن الملائكةِ، لو قلتَ: ميكائيلُ، الذي يَنزِلُ بالقَطْرِ والرحمةِ؛ تابَعْناك.

فأنزَلَ اللهُ تعالى: ﴿ ‌مَن ‌كَانَ ‌عَدُوّٗا ‌لِّلَّهِ وَمَلَٰٓئِكَتِهِۦ وَرُسُلِهِۦ وَجِبْرِيلَ وَمِيكَىٰلَ فَإِنَّ اْللَّهَ عَدُوّٞ لِّلْكَٰفِرِينَ﴾ [البقرة: 98]». أخرجه أحمد (2514).

* قولُه تعالى: {وَدَّ كَثِيرٞ مِّنْ أَهْلِ اْلْكِتَٰبِ لَوْ يَرُدُّونَكُم مِّنۢ بَعْدِ إِيمَٰنِكُمْ كُفَّارًا حَسَدٗا مِّنْ عِندِ أَنفُسِهِم مِّنۢ بَعْدِ مَا تَبَيَّنَ لَهُمُ اْلْحَقُّۖ فَاْعْفُواْ وَاْصْفَحُواْ} [البقرة: 109]:

جاء عن كعبِ بن مالكٍ رضي الله عنه: «أنَّ كعبَ بنَ الأشرَفِ اليهوديَّ كان شاعرًا، وكان يهجو النبيَّ ﷺ، ويُحرِّضُ عليه كفَّارَ قُرَيشٍ في شِعْرِه، وكان المشركون واليهودُ مِن المدينةِ حين قَدِمَها رسولُ اللهِ ﷺ يُؤذُون النبيَّ ﷺ وأصحابَه أشَدَّ الأذى، فأمَر اللهُ تعالى نبيَّهُ بالصَّبْرِ على ذلك، والعفوِ عنهم؛ وفيهم أُنزِلتْ: {وَدَّ كَثِيرٞ مِّنْ أَهْلِ اْلْكِتَٰبِ} إلى قولِه: {فَاْعْفُواْ وَاْصْفَحُواْ} [البقرة: 109]». أخرجه أبو داود (رقم ٣٠٠٠).

* قولُه تعالى: ﴿وَلِلَّهِ ‌اْلْمَشْرِقُ ‌وَاْلْمَغْرِبُۚ فَأَيْنَمَا تُوَلُّواْ فَثَمَّ وَجْهُ اْللَّهِۚ إِنَّ اْللَّهَ وَٰسِعٌ عَلِيمٞ﴾ [البقرة: 115].

عن عبدِ اللهِ بن عُمَرَ - رضي الله عنهما -، قال: «كان رسولُ اللهِ ﷺ يُصلِّي وهو مُقبِلٌ مِن مكَّةَ إلى المدينةِ على راحلتِهِ حيث كان وجهُهُ، قال: وفيه نزَلتْ: ﴿فَأَيْنَمَا تُوَلُّواْ فَثَمَّ وَجْهُ اْللَّهِۚ﴾». أخرجه مسلم (700).

* قولُه تعالى: ﴿وَإِذْ ‌جَعَلْنَا ‌اْلْبَيْتَ مَثَابَةٗ لِّلنَّاسِ وَأَمْنٗا وَاْتَّخِذُواْ مِن مَّقَامِ إِبْرَٰهِـۧمَ مُصَلّٗىۖ وَعَهِدْنَآ إِلَىٰٓ إِبْرَٰهِـۧمَ وَإِسْمَٰعِيلَ أَن طَهِّرَا بَيْتِيَ لِلطَّآئِفِينَ وَاْلْعَٰكِفِينَ وَاْلرُّكَّعِ اْلسُّجُودِ﴾ [البقرة: 125].

سببُ نزولِها: ما جاء عن أنسٍ - رضي الله عنه -، قال: «قال عُمَرُ بنُ الخطَّابِ - رضي الله عنه -: وافَقْتُ ربِّي في ثلاثٍ، فقلتُ: يا رسولَ اللهِ، لو اتَّخَذْنا مِن مقامِ إبراهيمَ مُصلًّى؛ فنزَلتْ: ﴿ ‌وَاْتَّخِذُواْ ‌مِن ‌مَّقَامِ إِبْرَٰهِـۧمَ مُصَلّٗىۖ ﴾ [البقرة: 125].

وآيةُ الحجابِ، قلتُ: يا رسولَ اللهِ، لو أمَرْتَ نساءَك أن يَحتجِبْنَ؛ فإنَّه يُكلِّمُهنَّ البَرُّ والفاجرُ؛ فنزَلتْ آيةُ الحجابِ.

واجتمَعَ نساءُ النبيِّ ﷺ في الغَيْرةِ عليه، فقلتُ لهنَّ: ﴿ ‌عَسَىٰ ‌رَبُّهُۥٓ إِن طَلَّقَكُنَّ أَن يُبْدِلَهُۥٓ أَزْوَٰجًا خَيْرٗا مِّنكُنَّ ﴾؛ فنزَلتْ هذه الآيةُ». أخرجه البخاري (٤٠٢).

* قوله تعالى: {سَيَقُولُ اْلسُّفَهَآءُ مِنَ اْلنَّاسِ مَا وَلَّىٰهُمْ عَن قِبْلَتِهِمُ اْلَّتِي كَانُواْ عَلَيْهَاۚ} [البقرة: 142]:
عن البراءِ رضي الله عنه، قال: كان رسولُ اللهِ صلى الله عليه وسلم يُصلِّي نحوَ بيتِ المقدسِ، ويُكثِرُ النظرَ إلى السماءِ ينتظِرُ أمرَ اللهِ؛ فأنزَلَ اللهُ: {قَدْ نَرَىٰ تَقَلُّبَ وَجْهِكَ فِي اْلسَّمَآءِۖ فَلَنُوَلِّيَنَّكَ قِبْلَةٗ تَرْضَىٰهَاۚ فَوَلِّ وَجْهَكَ شَطْرَ اْلْمَسْجِدِ اْلْحَرَامِۚ} [البقرة: 144]،  فقال رجالٌ مِن المسلمين: وَدِدْنا لو عَلِمْنا عِلْمَ مَن مات قبل أن نُصرَفَ إلى القِبْلةِ؛ فأنزَلَ اللهُ: {وَمَا كَانَ اْللَّهُ لِيُضِيعَ إِيمَٰنَكُمْۚ} [البقرة: 143]، وقال السُّفهاءُ مِن الناسِ: ما ولَّاهم عن قِبْلتِهم التي كانوا عليها؟ فأنزَلَ اللهُ: {سَيَقُولُ اْلسُّفَهَآءُ مِنَ اْلنَّاسِ} [البقرة: 142] إلى آخرِ الآيةِ. "الصحيح المسند من أسباب النزول" (ص 25، 26).

* قولُه تعالى: ﴿ وَمَا كَانَ اْللَّهُ لِيُضِيعَ إِيمَٰنَكُمْۚ ﴾ [البقرة: 143].

ممَّا صحَّ: ما جاء عن عبدِ اللهِ بن عباسٍ - رضي الله عنهما -، قال: «لمَّا وُجِّهَ النبيُّ ﷺ إلى الكعبةِ، قالوا: يا رسولَ اللهِ، كيف بإخوانِنا الذين ماتوا وهم يُصَلُّون إلى بيتِ المقدسِ؟ فأنزَلَ اللهُ: ﴿وَمَا كَانَ اْللَّهُ لِيُضِيعَ إِيمَٰنَكُمْۚ﴾ [البقرة: 143]». أخرجه أبو داود (٤٦٨٠)، والترمذي (٢٩٦٤).

* قولُه تعالى: ﴿ لَآ إِكْرَاهَ فِي اْلدِّينِۖ ﴾ [البقرة: 256].

جاء عن عبدِ اللهِ بن عباسٍ - رضي الله عنهما - أنَّه قال: «كانت المرأةُ مِن الأنصارِ تكونُ مِقْلاةً، لا يكادُ يعيشُ لها ولَدٌ، فتَجعَلُ على نفسِها إن عاش لها ولَدٌ أن تُهوِّدَهُ، فلمَّا أُجلِيَتْ بنو النَّضيرِ، كان فيهم مِن أبناءِ الأنصارِ، فقالوا: لا ندَعُ أبناءَنا؛ فأنزَلَ اللهُ: ﴿ لَآ إِكْرَاهَ فِي اْلدِّينِۖ ﴾ [البقرة: 256]». أخرجه أبو داود (٢٦٨٢).

* قولُه تعالى: ﴿لَا يُكَلِّفُ اْللَّهُ نَفْسًا إِلَّا وُسْعَهَاۚ لَهَا مَا كَسَبَتْ وَعَلَيْهَا مَا اْكْتَسَبَتْۗ رَبَّنَا لَا تُؤَاخِذْنَآ إِن نَّسِينَآ أَوْ أَخْطَأْنَاۚ ﴾ [البقرة: 286].

سببُ نزولِ هذه الآيةِ: ما جاء عن أبي هُرَيرةَ - رضي الله عنه -، قال: «لمَّا نزَلتْ على رسولِ اللهِ ﷺ: ﴿ لِّلَّهِ مَا فِي اْلسَّمَٰوَٰتِ وَمَا فِي اْلْأَرْضِۗ وَإِن تُبْدُواْ مَا فِيٓ أَنفُسِكُمْ أَوْ تُخْفُوهُ يُحَاسِبْكُم بِهِ اْللَّهُۖ فَيَغْفِرُ لِمَن يَشَآءُ وَيُعَذِّبُ مَن يَشَآءُۗ وَاْللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٖ قَدِيرٌ ﴾ [البقرة: 284]، قال: فاشتَدَّ ذلك على أصحابِ رسولِ اللهِ ﷺ، فأتَوْا رسولَ اللهِ ﷺ، ثم برَكُوا على الرُّكَبِ، فقالوا: أيْ رسولَ اللهِ، كُلِّفْنا مِن الأعمالِ ما نُطِيقُ؛ الصَّلاةَ، والصِّيامَ، والجهادَ، والصَّدقةَ، وقد أُنزِلتْ عليك هذه الآيةُ ولا نُطِيقُها، قال رسولُ اللهِ ﷺ: «أتُريدون أن تقولوا كما قال أهلُ الكتابَينِ مِن قَبْلِكم: سَمِعْنا وعصَيْنا؟! بل قُولوا: سَمِعْنا وأطَعْنا، غُفْرانَكَ ربَّنا وإليك المَصِيرُ»، قالوا: سَمِعْنا وأطَعْنا، غُفْرانَكَ ربَّنا وإليك المَصِيرُ، فلمَّا اقترَأَها القومُ، ذَلَّتْ بها ألسنتُهم؛ فأنزَلَ اللهُ في إثرِها: ﴿ ءَامَنَ اْلرَّسُولُ بِمَآ أُنزِلَ إِلَيْهِ مِن رَّبِّهِۦ وَاْلْمُؤْمِنُونَۚ كُلٌّ ءَامَنَ بِاْللَّهِ وَمَلَٰٓئِكَتِهِۦ وَكُتُبِهِۦ وَرُسُلِهِۦ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٖ مِّن رُّسُلِهِۦۚ وَقَالُواْ سَمِعْنَا وَأَطَعْنَاۖ غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ اْلْمَصِيرُ ﴾ [البقرة: 285]، فلمَّا فعَلوا ذلك، نسَخَها اللهُ تعالى؛ فأنزَلَ اللهُ عز وجل: ﴿ لَا يُكَلِّفُ اْللَّهُ نَفْسًا إِلَّا وُسْعَهَاۚ لَهَا مَا كَسَبَتْ وَعَلَيْهَا مَا اْكْتَسَبَتْۗ رَبَّنَا لَا تُؤَاخِذْنَآ إِن نَّسِينَآ أَوْ أَخْطَأْنَاۚ ﴾ [البقرة: 286]، قال: نَعم. ﴿ رَبَّنَا وَلَا تَحْمِلْ عَلَيْنَآ إِصْرٗا كَمَا حَمَلْتَهُۥ عَلَى اْلَّذِينَ مِن قَبْلِنَاۚ ﴾ [البقرة: 286]، قال: نَعم. {رَبَّنَا وَلَا تُحَمِّلْنَا مَا لَا طَاقَةَ لَنَا بِهِۦۖ}، قال: نَعم. {وَاْعْفُ عَنَّا وَاْغْفِرْ لَنَا وَاْرْحَمْنَآۚ أَنتَ مَوْلَىٰنَا فَاْنصُرْنَا عَلَى اْلْقَوْمِ اْلْكَٰفِرِينَ}، قال: نَعم». صحيح مسلم (125).

* ثبَت لسورة (البقرة) اسمٌ آخَرُ؛ وهو (الزَّهراء):

لِما جاء في حديث أبي أُمامةَ الباهليِّ رضي الله عنه، قال: سَمِعْتُ رسولَ اللهِ ﷺ يقول: «اقرَؤُوا الزَّهْراوَينِ: البقرةَ، وسورةَ آلِ عمرانَ». أخرجه مسلم (804).

«والزَّهْراوانِ: أي: المُنِيرتانِ المُضيئتان، واحدتُها: زَهْراءُ». "لسان العرب" (4 /332).

وقد عَدَّ بعضُ العلماء أنَّ ذِكْرَ (الزَّهْراوَينِ) في هذا الحديثِ هو مِن باب الوصف، لا التسمية. انظر: "التحرير والتنوير" لابن عاشور (3 /143)، "التفسير الموضوعي لسور القرآن الكريم" لمجموعة من العلماء (1 /20).

* أمَرنا النبيُّ ﷺ أن نقرأَها في بيوتِنا؛ فإنَّ الشيطانَ يَنفِرُ منها:

كما جاء عن أبي هُرَيرةَ رضي الله عنه، أنَّ رسولَ الله ﷺ قال: «لا تَجعَلوا بيوتَكم مقابرَ؛ إنَّ الشيطانَ يَنفِرُ مِن البيتِ الذي تُقرأُ فيه سورةُ البقرةِ». أخرجه مسلم (780).

* هي السُّورة التي لا يستطيعها البَطَلةُ:

فعن بُرَيدةَ بن الحُصَيب الأَسْلمي رضي الله عنه، قال: كنتُ جالسًا عند النبيِّ ﷺ، فسَمِعْتُه يقول: «تَعلَّموا سورةَ البقرةِ؛ فإنَّ أَخْذَها برَكةٌ، وتَرْكَها حَسْرةٌ، ولا يستطيعُها البَطَلةُ». أخرجه أحمد (٢٢٩٥٠).

* آخِرُ آيتَينِ منها تكفيانِ قارئَهما:

فعن عبدِ الرحمنِ بن يَزيدَ، قال: لَقِيتُ أبا مسعودٍ رضي الله عنه عند البيتِ، فقلتُ: حديثٌ بلَغني عنك في الآيتَينِ في سورةِ (البقرة)، فقال: نعم، قال رسولُ الله ﷺ: «الآيتانِ مِن آخِرِ سورةِ البقرةِ، مَن قرَأهما في ليلةٍ كَفَتَاهُ». أخرجه مسلم (807).

* سورة (البقرة) تُحاجُّ عن صاحبها يومَ القيامة:

فعن أبي أُمامةَ الباهليِّ رضي الله عنه، قال: سَمِعْتُ رسولَ الله ﷺ يقول: «اقرَؤوا القرآنَ؛ فإنَّه يأتي يومَ القيامةِ شفيعًا لأصحابِه؛ اقرَؤوا الزَّهْراوَينِ: البقرةَ، وسورةَ آلِ عِمْرانَ؛ فإنَّهما تأتيانِ يومَ القيامةِ كأنَّهما غَمامتانِ، أو كأنَّهما غَيَايتانِ، أو كأنَّهما فِرْقانِ مِن طيرٍ صوافَّ، تُحاجَّانِ عن أصحابِهما، اقرَؤوا سورةَ البقرةِ؛ فإنَّ أَخْذَها برَكةٌ، وتَرْكَها حَسْرةٌ، ولا يستطيعُها البَطَلةُ». أخرجه مسلم (804).

* لحافِظِها فضلٌ خاصٌّ وشأن عظيم:

فعن أنسٍ رضي الله عنه، قال: «كان الرَّجُلُ إذا قرأ البقرةَ وآلَ عِمْرانَ، جَدَّ فينا - يعني: عظُمَ -»، وفي روايةٍ: «يُعَدُّ فينا عظيمًا»، وفي أخرى: «عُدَّ فينا ذا شأنٍ». أخرجه أحمد (3/120) (12236).

وعن أبي هُرَيرةَ رضي الله عنه، قال: بعَث رسولُ اللهِ ﷺ بَعْثًا، وهم ذو عَدَدٍ، فاستقرَأهم، فاستقرَأ كلَّ رجُلٍ منهم ما معه مِن القرآنِ، فأتى على رجُلٍ منهم - مِن أحدَثِهم سنًّا -، فقال: «ما معك يا فلانُ؟!»، قال: معي كذا وكذا، وسورةُ البقرةِ، قال: «أمعك سورةُ البقرةِ؟!»، فقال: نعم، قال: «فاذهَبْ؛ فأنت أميرُهم»، فقال رجُلٌ مِن أشرافِهم: واللهِ يا رسولَ اللهِ، ما منَعني أن أتعلَّمَ سورةَ البقرةِ إلا خشيةُ ألَّا أقُومَ بها! فقال رسولُ اللهِ ﷺ: «تعلَّموا القرآنَ، واقرَؤوه؛ فإنَّ مثَلَ القرآنِ لِمَن تعلَّمَه، فقرَأه وقام به: كمثَلِ جرابٍ محشوٍّ مِسْكًا، يفُوحُ رِيحُه في كلِّ مكانٍ، ومثَلَ مَن تعلَّمَه، فيرقُدُ وهو في جوفِه: كمثَلِ جرابٍ وُكِئَ على مِسْكٍ». أخرجه الترمذي (٢٨٧٦).

* لها نزَلتِ الملائكةُ مستمِعةً:

فعن أُسَيدِ بن حُضَيرٍ رضي الله عنه، قال: يا رسولَ اللهِ، بينما أنا أقرأُ الليلةَ سورةَ البقرةِ، إذ سَمِعْتُ وَجْبةً مِن خَلْفي، فظنَنْتُ أنَّ فَرَسي انطلَقَ، فقال رسولُ اللهِ ﷺ: «اقرَأْ يا أبا عَتِيكٍ»، فالتفَتُّ فإذا مِثْلُ المِصباحِ مُدَلًّى بين السماءِ والأرضِ، ورسولُ اللهِ ﷺ يقولُ: «اقرَأْ يا أبا عَتِيكٍ»، فقال: يا رسولَ اللهِ، فما استطعتُ أن أمضيَ، فقال رسولُ اللهِ ﷺ: «تلك الملائكةُ؛ نزَلتْ لقراءةِ سورةِ البقرةِ، أمَا إنَّك لو مضَيْتَ، لرأيْتَ العجائبَ». أخرجه ابن حبان (779).

* فيها أعظَمُ آيةٍ في كتابِ الله؛ وهي آيةُ (الكُرْسيِّ):

عن أُبَيِّ بن كعبٍ رضي الله عنه، قال: قال رسولُ الله ﷺ: «يا أبا المُنذِرِ، أتدري أيُّ آيةٍ مِن كتابِ اللهِ معك أعظَمُ؟»، قال: قلتُ: اللهُ ورسولُه أعلَمُ، قال: «يا أبا المُنذِرِ، أتدري أيُّ آيةٍ مِن كتابِ اللهِ معك أعظَمُ؟»، قلتُ: {اْللَّهُ ‌لَآ ‌إِلَٰهَ ‌إِلَّا ‌هُوَ ‌اْلْحَيُّ ‌اْلْقَيُّومُۚ}، قال: فضرَب في صدري، وقال: «واللهِ، لِيَهْنِكَ العِلْمُ أبا المُنذِرِ». أخرجه مسلم (٨١٠).

* لعلَّ رسولَ الله ﷺ قرَأها في صلاةِ الكسوف:

فقد جاء عن عائشةَ أمِّ المؤمنين رضي الله عنها أنها قالت: «لمَّا كسَفتِ الشمسُ على عهدِ رسولِ اللهِ ﷺ، توضَّأَ، وأمَرَ فنُودي: إنَّ الصَّلاةَ جامعةٌ، فقام، فأطال القيامَ في صلاتِهِ، قالت: فأحسَبُه قرَأَ سورةَ البقرةِ، ثم ركَعَ، فأطال الرُّكوعَ، ثم قال: سَمِعَ اللهُ لِمَن حَمِدَه، ثم قام مِثْلَ ما قام، ولم يسجُدْ، ثم ركَعَ، فسجَدَ، ثم قام، فصنَعَ مِثْلَ ما صنَعَ، ثم ركَعَ ركعتَينِ في سَجْدةٍ، ثم جلَسَ، وجُلِّيَ عن الشمسِ». أخرجه البخاري (١٠٤٦).

* وكذا كان يَقرَؤُها ﷺ في قيامِهِ بالليل:

فعن حُذَيفةَ بن اليمانِ رضي الله عنهما، قال: «صلَّيْتُ مع رسولِ اللهِ ﷺ ذاتَ ليلةٍ، فاستفتَحَ بسورةِ البقرةِ، فقرَأَ بمائةِ آيةٍ لم يَركَعْ، فمضى، قلتُ: يَختِمُها في الرَّكعتَينِ، فمضى، قلتُ: يَختِمُها ثمَّ يَركَعُ، فمضى حتى قرَأَ سورةَ النِّساءِ، ثم قرَأَ سورةَ آلِ عِمْرانَ، ثم ركَعَ نحوًا مِن قيامِهِ، يقولُ في ركوعِهِ: سبحانَ ربِّيَ العظيمِ، سبحانَ ربِّيَ العظيمِ، سبحانَ ربِّيَ العظيمِ، ثم رفَعَ رأسَهُ، فقال: سَمِعَ اللهُ لِمَن حَمِدَه، ربَّنا لك الحمدُ، وأطال القيامَ، ثم سجَدَ، فأطال السُّجودَ، يقولُ في سجودِهِ: سبحانَ ربِّيَ الأعلى، سبحانَ ربِّيَ الأعلى، سبحانَ ربِّيَ الأعلى، لا يمُرُّ بآيةِ تخويفٍ أو تعظيمٍ للهِ عزَّ وجلَّ إلا ذكَرَهُ». أخرجه النسائي (١١٣٢). وقد ورَد نحوُ هذا الحديث عن عوفِ بن مالك الأشجَعيِّ. انظر: النسائي (١١٣١).

حوَتْ سورةُ (البقرةِ) كثيرًا من الموضوعات المتنوِّعة، وقد جاءت على هذا الترتيبِ:

هداية القرآن وخلافة الإنسان (١-٣٩).

هداية القرآن وموقف الناس منها (١-٢٠).

أمر الناس باتِّباع المنهج، ونموذج الاستخلاف الأول (٢١- ٣٩).

بنو إسرائيل ومسوِّغات عزلِهم عن الخلافة (٤٠-١٦٢).

تذكير وعتاب (٤٠-٤٨).

ثم ذِكر أحوال بني إسرائيل ومسوِّغات عزلِهم عن الخلافة (٤٩-٧٤).

وبعد ذلك ذِكر مواقفِ اليهود المعاصرين للنبيِّ عليه السلام (٧٥-١٢٣).

دعوة إبراهيم وتبرئتها من انتساب اليهود والنصارى إليها (١٢٤-١٤١).

انتقال القِبْلة والإمامة في الدِّين لأمَّة محمد عليه السلام (١٤٢-١٦٢).

مقوِّمات استحقاقِ أمَّة الإسلام للخلافة (١٦٣-٢٨٣).

الشرائع التفصيلية للدِّين الإسلامي (١٦٣-١٧٧).

تفصيل بعض أمور البِرِّ (١٧٨-٢٠٣).

نماذجُ بشرية ومواعظُ إلهية (٢٠٤-٢٢٠).

تفصيل أحكام الأُسرة (٢٢١-٢٤٢).

قِصص الإحياء والإماتة (٢٤٣-٢٦٠).

الإنفاق؛ آدابه والمستحِقون له (٢٦١-٢٧٤).

حفظ الأموال عن الحرام والإضاعة (٢٧٥-٢٨٣).

دعاءٌ وإجابة (٢٨٤-٢٨٦).

ينظر: "التفسير الموضوعي لسُوَر القرآن الكريم" لمجموعة من العلماء (1 /19).

جاءت هذه السُّورةُ الكريمة ببيانِ منهج خلافة الله في الأرض بين مَن أضاعوه ومَن أقاموه، وسُمُوِّ هذا الدِّين على ما سبَقه، وعُلُوِّ هَدْيِه، وأصولِ تطهيره النفوسَ بعد تبيينِ شرائعِ هذا الدِّين لأتباعه، وإصلاحِ مجتمَعِهم بعد إقامة الدليل على أنَّ الكتابَ هدًى؛ ليُتَّبعَ في كلِّ حال. وأعظَمُ ما يَهدِي إليه: الإيمانُ بالغيب؛ ومَجمَعُه: الإيمان بالآخرة، ومدارُه: الإيمان بالبعث، الذي أعرَبتْ عنه قصةُ (البقرة)، التي مدارها: الإيمانُ بالغيب؛ فلذلك سُمِّيتْ بها السورةُ. ينظر: "مصاعد النظر" للبقاعي (2 /10)، و"التحرير والتنوير" لابن عاشور (1 /203).